ગુજરાત
News of Tuesday, 8th September 2020

પાલનપુર તાલુકાના સેજલપુરમાં કાચા મકાનની દીવાલ ધરાશાયી થતા સગર્ભા મહિલા સહીત બે બાળકોના ઘટનાસ્થળેજ મૃત્યુ

પાલનપુર:તાલુકાના સેજલપુરા ગામે મકાનની દીવાલ ધરાસાઇ થતા સર્જાયેલ દુર્ઘટનામાં ત્રણ વ્યક્તિના મોત નિપજવાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. બનાવમાં સેજલપુરા ગામે સોમવારના સવારે રમેશભાઇ બેચરભાઇ ગામી અને આસિફખાન સુલેમાનખાન પરબડીયાની જગ્યામાં દુકાનના બાંધકામ માટે પાયાનું ખોદકામ ચાલી રહ્યું હતું. દરમ્યાન બાજુમાં આવેલ રાઇબેન ભીખાભાઇ પટેલના કાચા મકાનની દિવાલ અચાનક ધરાસાઇ થતા અહીં મજુરી કામ કરતા રાજસ્થાનના આઠ વ્યક્તિ દિવાલ નીચે દટાયા હતા. જેમાં ૩૦ વર્ષીય સગર્ભા સીતાબેન રાજુભાઇ વસેયા, પાંચ વર્ષીય રાહુલ પરેશભાઇ વસૈયા અને ત્રણ વર્ષીય નયન રાજુભાઇ વસૈયા ત્રણેય રહે.સલુપટ બજાર બસવાડા રાજસ્થાન વાળાના ઘટનાસ્થળે જ કરૃણ મોત નિપજ્યા હતા. જોકે આ દુર્ગટનાને પગલે આજુબાજુથી ગ્રામજનો દોડી આવ્યા હતા. અને બચાવ કામગીરી હાથ ધરી દિવાલના કાટમાળ નીચે દટાયેલા પાંચ વ્યક્તિને બહાર કાઢી તેમને સારવાર અર્થે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પાલનપુર તાલુકા પોલીસ સેજલપુરા દોડી આવી હતી. જ્યાં ઘટનાસ્થળનું પંચનામુ કરી મૃતદેહોને પીએમ અર્થે મોકલી આપ્યા હતા. જોકે દિવાલ ધરાસાઇ થવાને લઇ માતા પુત્ર સહિત ત્રણ વ્યક્તિ મોત નિપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે.

(5:40 pm IST)