યુવા ભાજપ દ્વારા મોદીના જન્મદિને તા.૧૭મીએ ૭૦ રકતદાન શિબીર
તા.૧૪ થી ૨૦ સેવા સપ્તાહની ઉજવણી : ડો. ઋત્વિજ પટેલ
રાજકોટ,તા.૯ : પ્રદેશ કાર્યાલય-શ્રી કમલમ્ ખાતે પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડો. ઋત્વિજ પટેલની અધ્યક્ષતામાં યુવા મોરચાની બેઠક મળી હતી. જેમાં પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, પ્રદેશ મહામંત્રી અને યુવા મોરચાના પ્રદેશ પ્રભારી કે. સી. પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ભાર્ગવભાઈ ભટ્ટે ઉપસ્થિત રહી યુવા મોરચાના ઉપસ્થિત પદાધિકારી અને કાર્યકતઓને માર્ગદર્શન આપ્યું હતું .
પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષશ્રી ડો. ઋત્વિજ પટેલે કહ્યું હતું કે, આગામી ૧૭ સપ્ટેમ્બર ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ૭૦મા જન્મદિવસ નિમિત્તે ગુજરાતભરમાં ૭૦ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન યુવા મોરચો કરશે અને જીલ્લા/મહાનગરોમાં દરેક બુથમાં ૭૦ વૃક્ષારોપણનો કાર્યક્રમ હાથ ધરાશે. તા. ૧૪ થી ૨૦ સપ્ટેમ્બર દરમિયાન પાર્ટી દ્રારા આયોજીત સેવા સપ્તાહ કાર્યક્રમમાં યુવા મોરચો અગ્રેસર રહી સેવાકીય કામોમાં જોડાશે. તા. ૨૫ સપ્ટેમ્બર પંડિત દિનદયાળજી જન્મજયંતી થી તા. ૨ ઓકટોબર ''ગાંધી જયંતી'' સુધી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્ન ''આત્મનિર્ભર ભારત'' અભિયાન અને સ્થાનિક/સ્વદેશી ઉત્પાદનોના પ્રોત્સાહન અભિયાન અંતગંત પ્રચાર પ્રસારના કાર્યમાં યુવા મોરચો જોડાશે બેઠકમાં યુવા મોરચાના રાષ્ટ્રીય કારોબારી સભ્યઓ, પ્રદેશ હોદ્દેદારો, ઝોન અને જીલ્લા/ મહાનગરના પ્રભારી-સહપ્રભારી તેમજ જીલ્લા/મહાનગરના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા તેમ મીડિયા વિભાગના પ્રદેશ કન્વીનર પ્રશાંત વાળા જણાવે છે.