દાહોદ: ફતેપુરા તાલુકાના નાનાસરણાયા ગામે પતિ સહીત સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ બે માસુમ સંતાનો સાથે કુવામાં ઝંપલાવ્યું
ફતેપુરા:તાલુકાના નાનાસરણાયા ગામે પતિ તેમજ સાસરિયાના ત્રાસથી કંટાળી જઇને એક મહિલાએ પોતાના બે માસૂમ સંતાનો સાથે કૂવામાં ઝંપલાવી આત્મહત્યા કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે.
નાનાસરણાયા ગામે વેલજીભાઈ ડામોરના ખેતરના કૂવામાંથી ૨ માસૂમો અને એક મહિલાની લાશ પડી હોવાની વાત પંથકમાં ફેલાતા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતાં. આ બનાવની જાણ પોલીસને કરાતાં ફતેપુરા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ત્રણેય મૃતદેહોને બહાર કાઢયા હતાં. મૃતકોમાં ગામમાં રહેતી સરલાબેન ડામોર અને તેના બે સંતાનો એક પુત્રી ઉંમર ૫ વર્ષ અને પુત્ર ૩ મહિનાનો હોવાનું જાણવા મળ્યું હતું.
મૃતક સરલાના લગ્નને ૧૦ વર્ષનો સમય થયો હતો. પોલીસ સરલાના પતિ જેસીંગભાઇને પૂછપરછ માટે લઈ ગઇ હતી. પોલીસની તપાસમાં ૩૨ વર્ષની પરિણીત મહિલાએ ૧૦ વર્ષના લગ્નગાળામાં સાસરી પક્ષના ત્રાસથી વાજ આવી પોતાના બે સંતાનો સાથે કૂવામાં ઝંપલાવી આત્મહત્યા કરી હોવાનું બહાર આવતા આ મામલે મૃતક પરિણીતાના પિતાએ ફતેપુરા પોલીસ મથકે મહિલાના પતિ, સાસુ અને સસરા સામે ગુનો દાખલ કરાવતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.