ગુજરાત
News of Wednesday, 9th September 2020

પક્ષમાં ઘણા પોઝિટિવ આવતા ભાજપની ચિંતન બેઠક રદ થઈ

ભાજપ કાર્યાલય કમલમ ખાતે નો એન્ટ્રી : કમલમમાં સ્ટાફ સિવાય કોઇને પ્રવેશ આપવામાં આવશે નહીં, કમલમનાં મુખ્ય દરવાજા પર પોલીસ કર્મીઓ તૈનાત

ગાંધીનગર,તા.૯ : પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ તથા સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેન્સવિલા ખાતે ૨ દિવસની ચિંતન બેઠકનું અયોજન થયું હતું. જે ૧૧ અને ૧૨ સપ્ટેમ્બરના રોજ યોજાવવાની હતી તે હવે ભાજપમાં વધતા કોરોનાના કેસને કારણે બેઠક રદ કરવામાં આવી છે. જોકે આ અંગેની સત્તાવાર રીતે થોડીવારમાં જાહેરાત કરવામાં આવશે. ગુજરાત ભાજપ દ્વારા કોરોનાકાળમાં મહત્તવનો નિર્ણય લેવાયો છે. આ સાથે ભારતીય જનતા પાર્ટીની ઓફિસ કમલમ કોરોનાનું એપીસેન્ટર બન્યું છે. જેથી કમલમને પણ બંધ કરવામાં આવ્યું છે. કમલમમાં ઓફિસનાં સ્ટાફ સિવાય કોઇને પણ પ્રવેશ આપવામાં આવશે નહીં. કમલમનાં મુખ્ય દરવાજા પર પોલીસ કર્મીઓ તૈનાત કરાયા છે. નોંધનીય છે કે, ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના આદેશને પગલે દર સોમવાર અને મંગળવારે મંત્રીઓ કાર્યકરોના પ્રશ્ન-રજૂઆત સાંભળવા કમલમમાં આવી રહ્યાં હતા.

             આ સંગઠનાત્મક સુવિધાને લીધે કમલમમાં કાર્યકરોની ભીડ ઉમટી રહી હતી. આ સ્થિતિને કારણે કોરોના કમલમ સુધી પહોંચ્યો છે. બધે સોશિયલ ડિસ્ટન્સનાં પાઠ ભણાવતી રાજ્ય સરકાર જાણે પોતે દજ બાન ભૂલી હોય તેમ કમલમમાં તથા સી.આર. પાટીલનાં ગુજરાત પ્રવાસનાં કાર્યક્રમોમાં ભીડ એકઠી થતી દેખાતી હતી. ગઇકાલે ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા પણ કોરોના સંક્રમિત થયા છે. જેઓને સારવાર માટે યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તો ભાજપના અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલ પણ કોરોના સંક્રમિત થયા છે. હસમુખ પટેલે ગઈકાલે કોવિડ વિજય રથના લોન્ચિંગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ત્યારે હસમુખ પટેલ અને તેમના પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

              આમ, ભાજપના ચોથા સાંસદ કોરોના સંક્રમિત બન્યા છે. ભાજપ કાર્યાલય કમલમમાં કોરોનાના અનેક પોઝિટિવ કેસ જોવા મળ્યા છે. કાર્યાલય મંત્રી પરેશ પટેલ ઉર્ફે મામા પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમજ તેમના પત્ની અને પુત્ર પણ કોરોના પોઝિટિવ બન્યા છે. ભાજપ કાર્યાલયમાં તાજેતરમાં પૂર્વ ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી. જેમાં પણ કોરોનાના કેસ વધવાની શક્યતાઓ સેવાઇ રહી છે. કમલમમાંથી કોણ કોણ કોરોનાની ચપેટમાં આવ્યાં છે તેની પર નજર કરીએ તો, પ્રદેશ કાર્યાલય મંત્રી પરેશ પટેલ, પ્રદેશ મહિલા મોરચાના કાર્યાલય મંત્રી મોના રાવલ, કમલમના ટેલિફોન ઓપરેટર રાકેશ પંડયા, પ્રદેશ કાર્યાલય મંત્રી પરેશ પટેલ, કમલમ પર સફાઈકર્મીઓને લાવનાર ડ્રાઈવર, કમલમ પરના ૨ સફાઈ કર્મચારીઓ પોઝિટિવ આવ્યાં છે. કમલમમાં કાર્યાલય મંત્રી પરેશ પટેલ કોરોનાથી સંક્રમિત થયા છે જેથી સોમવારે મહેસૂલ મંત્રી કૌશિક પટેલે કમલમમાં આવવાનુ ટાળ્યુ હતું. મંત્રી કૌશિક પટેલે સચિવાલયમાં જ રહીને વેબકેમના માધ્યમથી કાર્યકરોના તબક્કાવાર પ્રશ્નો સાંભળ્યા હતાં.

(7:34 pm IST)