ગુજરાત
News of Saturday, 10th July 2021

પંચમહાલના કાલોલમાં બે જૂથો વચ્ચે અથડામણ: પોલીસ પર પથ્થરમારો : PSI સહિતના જવાનો ઘાયલ : ટીયર ગેસના સેલ છોડાયા :ભારે તંગદિલી

અસામજીક તત્વોના 100થી વધુ લોકોના ટોળું બેકાબુ બન્યું: દુકાનો અને વાહનોમાં તોડફોડ : જિલ્લા SPના કાફલા પર પણ થયો પથ્થરમારો: ટોળાને કાબુ રાખવા જિલ્લાભરની પોલીસને કોલ : ભરેલા અગ્નિ જેવી સ્થિતિ

પંચમહાલના કાલોલમાં બે જૂથો વચ્ચે અથડામણ બાદ તોફાનો જેવી સ્થિતિ સર્જાઈ છે. ખુદ જિલ્લા SP સહિતના કાફલાને દોડી જવું પડ્યું છે. પરિસ્થિતિ એ હદ સુધી વણસી કે, જિલ્લામાંથી પોલીસ પાર્ટીને પણ બોલાવવી પડે તેમ છે. અસામજીક તત્વોના આશરે 100થી વધુ લોકોના ટોળું બેકાબુ બન્યું હતું. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. આ ટોળાએ તોડફોડ મચાવતા શહેરમાં અશાંતિનું વાતાવરણ ફેલાયું છે. અને દુકાનો સહિત લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું છે. અસરગ્રસ્ત વિસ્તારમાં લોકોએ ધંધો બંધ કરી ધર તરફ દોડી ગયા હતા. બેકાબુ ટોળા પર પોલીસ દ્વારા લાઠીચાર્જ અને ટીયર ગેસના સેલ પણ છોડવા પડ્યા હતા. પરંતુ આ ટોળું કોઈ રીતે કાબૂમાં આવ્યું નહોતું. પોલીસના જવાનો સહિત PI અને PSI પણ ઈજાગ્રસ્ત બન્યા છે.

જિલ્લા SP પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યારે SPના કાફલા પર પણ પથ્થરમારો થયાની પ્રાથમિક માહિતી સામે આવી છે. જો કે, પોલીસે આ ટોળાને કાબુ રાખવા જિલ્લાભરની પોલીસને કોલ આપી દીધો છે. લોકોને પણ દુકાન અને ધંધો બંધ રાખવા અને ઘરમાં રહેવાની અપીલ કરાઈ ચૂકી છે.

(8:15 pm IST)