અમદાવાદ માટે રાજધાની એક્સપ્રેસ કોરોનાની સૌથી મોટી વાહક બની
ચોથા દિવસે પણ સૌથી વધુ રાજધાની એક્સપ્રેસમાં આવતાં મુસાફરોમાં કોરોના પોઝિટિવ:ચાર દિવસમાં કુલ 78 યાત્રિકો પોઝિટિવ મળ્યા
અમદાવાદઃ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્રારા સતત ચોથા દિવસે પણ દેશના જુદા જુદા સ્થળેથી ટ્રેન મારફતે અમદાવાદ આવતાં મુસાફરોનું પરીક્ષણ ચાલુ રાખ્યું હતું. આજના ચોથા દિવસે 1579 મુસાફરોના ટેસ્ટ કર્યા હતા. તેમાંથી 28 પોઝિટિવ કેસ મળી આવ્યા હતા. જેમા સૌથી વધુ અમદાવાદ દિલ્હી વચ્ચેની રાજધાની એક્સપ્રેસમાં કોરોનાના કેસો 20 મળી આવ્યા હતા.
અગાઉના ત્રણ દિવસના પરીક્ષણમાં પણ રાજધાની એક્સપ્રેસમાંથી જ વધુ કોરોના પોઝિટિવ કેસો મળ્યા હતા. પ્રથમ દિવસે 26 અને બીજા દિવસે 13 પોઝીટીવ અને ત્રીજા દિવસે 19 કેસો મળી આવ્યા હતા. સરવાળે ચાર દિવસમાં માત્ર રાજધાની એક્સપ્રેસમાંથી કોરોનાના કુલ 78 કેસ મળી આવ્યા છે. આમ છેલ્લાં ચાર દિવસમાં સૌથી વધુ અમદાવાદ દિલ્હી વચ્ચેની રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં કોરોના પોઝિટિવના કેસો વધુ મળી આવ્યા છે.
અમદાવાદ શહેરમાં નોવેલ કોરા વાયરસનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્રારા બહુઆયામી વિવિધ પગલાંઓ લેવામાં આવ્યા છે. જેના ભાગરૂપે અમદાવાદ શહેરના સાતેય ઝોનમાં એક ખાસ ઝુંબેશ હેઠળ પરીક્ષણની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ પરીક્ષણ દરમિયાન પરપ્રાંતીય મજૂરો તથા કામદારોમાં કોરોના પોઝિટિવ કેસો મોટા પ્રમાણમાં મળી આવ્યા
શહેરના જુદા જુદા વિસ્તારોમાં વસવાટ કરતાં મજૂરો/કામદારોને શોધવામાં સમય ઘણો વ્યતીત થતો હોવાની સાથોસાથ કોરોના પોઝિટિવ ધરાવતા મજૂરો તથા કામદારો અન્ય સાથીદારોમાં સંક્રમણ ઊભું કરતાં હોવાથી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને અમદાવાદમાં પ્રવેશે તે પહેલાં જ પરપ્રાંતીય મજૂરો તથા કામદારોના ટેસ્ટ કરવાનું નક્કી કર્યું હતું. જેના ભાગરૂપે જ આજે અમદાવાદ રેલવે સ્ટેશન પર ટેસ્ટિંગની કામગીરી હાથ ધરી હતી, જેમાં ગોરખપુર એક્સપ્રેસ ટ્રેન મારફતે આવેલા 408 પ્રવાસીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
તેમાંથી 3 પોઝિટિવ કેસો મળ્યા હતા. તે જ રીતે રાજધાની સ્પેશ્યલ ટ્રેનમાં આવેલા 766 પ્રવાસીઓમાંથી 20 અને મુઝફરપુર સ્પેશ્યલ ટ્રેન મારફતે આવેલા 405 પ્રવાસીઓની ચકાસણીમાં 5 પોઝિટિવ કેસો મળી આવ્યા હતા. આમ સરવાળે કુલ 1579 મુસાફરોનું આજે દિવસ દરમિયાન ટેસ્ટિંગ કરાયું હતું. જેમાં 28 મુસાફરો કોરોના પોઝિટિવ નીકળ્યા હતા. આ મુસાફરોને મેડિકલ ટીમ દ્રારા તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. તેમ જ તેઓને જરૂરી તબીબી સારવાર અર્થે કોવિડ કેર સેન્ટર/ કોવિડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આગામી સમયમાં પણ મોટાપાયા પર ટેસ્ટિંગ કામગીરી ચાલુ રહેશે તેવું કોર્પોરેશને જાહેર કર્યું છે.