ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ : AIMIM પાર્ટીના પ્રતિનિધિઓ અમદાવાદની મુલાકાતે
પાર્ટીના પ્રતિનિધિઓ કેટલાક બુદ્ધિજીવી, રાજનેતાઓ અને લોકો સાથે મુલાકાત કરશે.
અમદાવાદ : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ કરવા માટે (ઓલ ઇન્ડિયા મજલીસ એ ઇતેહાદુલ મુસ્લેમીન ) AIMIM પાર્ટીના પ્રતિનિધિઓ બે દિવસીય મુલાકાત માટે અમદાવાદ આવ્યા છે.AIMIM પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા વારીશ પઠાણ અને મહારાષ્ટ્ર ઔરંગાબાદથી લોકસભા સાંસદ ઈમ્તિયાઝ જલીલ અમદાવાદની મુલાકાત લીધી છે. રવિવારે અમદાવાદ એરપોર્ટ પર શાબિર કાબલીવાલા સહિત કેટલાક નેતાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
AIMIM સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, અમદાવાદની મુલાકાત આવેલા પાર્ટીના પ્રતિનિધિઓ કેટલાક બુદ્ધિજીવી, રાજનેતાઓ અને લોકો સાથે મુલાકાત કરશે. આવતીકાલે એટલે કે 11મી જાન્યુઆરીના રોજ પણ તેઓ અમદાવાદમાં રોકાશે. નોંધનીય છે કે થોડાક દિવસ પહેલા AIMIMના વારીશ પઠાણે સુરત શહેરની પણ મુલાકાત લીધી હતી.
વારીશ પઠાણ દ્વારા કરવામાં આવેલી ટ્વીટમાં જણાવવામાં આવ્યું હતું કે, પાર્ટી અધ્યક્ષ અસુદીન ઓવેસીના નિર્દેશ પર તેઓ ગુજરાત આવ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી આગળ પાર્ટીની શું રણનીતિ રહેશે એ અંગે હાલ કઈ જણાવવામાં આવ્યું નથી.
નોંધનીય છે કે, રાજ્યની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં છોટુ વસાવાની BTP – ઓવેસીની AIMIM પાર્ટી સાથે મળીને ચૂંટણી લડશે. આ વખતે આમ આદમી પાર્ટીએ પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી તમામ બેઠકો પરથી લડવાની જાહેરાત કરી છે.