ગુજરાત
News of Monday, 11th January 2021

ગુજરાત યુનિવર્સિટી દ્વારા બીકોમ પ્રવેશનો આઠમો તબક્કો શરૂ કરવા માંગઃ પ્રવેશ સમિતીના અધ્‍યક્ષ જશવંત ઠક્કરના ઘરને એનએસયુઆઇ દ્વારા ઘેરાવ

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં બી.કોમ પ્રવેશ પ્રક્રિયાને લઈ NSUI આક્રમક મૂડમાં જોવા મળી રહ્યું છે. મહત્વનું છે કે અત્યાર સુધી ગુજરાત યુનિવર્સિટીમાં બીકોમમાં પ્રવેશના સાત રાઉન્ડની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. તો હવે એનએસઆઈયૂ દ્વારા વધુ એક રાઉન્ડ જાહેર કરવાની માંગને લઈને વિરોધ પ્રદર્શન કરી લેવામાં આવ્યું છે. પ્રવેશ સમિતિ તથા કુલપતિ હિમાંશુ પંડ્યાને વારંવાર રજૂઆત કર્યા બાદ પણ પ્રવેશનો આઠમો તબક્કો શરૂ ન થતાં  NSUI લડી લેવાના મૂડમાં છે.

પ્રવેશ સમિતિના અધ્યક્ષના ઘરનો ઘેરાવ

બીકોમમાં પ્રવેશનો આઠમો તબક્કો શરૂ કરવાની માંગ છેલ્લા ઘણા દિવસથી વિદ્યાર્થી યુનિયન એનએસયૂઆઈ દ્વારા કરવામાં આવી રહી છે. આ મુદ્દે આજે એનએસયૂઆઈના કાર્યકરોએ ગુજરાત યુનિવર્સિટી બીકોમ પ્રવેશ સમિતિના અધ્યક્ષ જશવંત ઠક્કરના ઘરનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. એનએસયૂએઈના કાર્યકરોએ કહ્યું કે કુલપતિ, રજીસ્ટ્રાર તેમજ પ્રવેશ સમિતિના અધ્યક્ષ રૂબરૂ ન મળતા તેમના ઘરનો ઘેરાવ કરવામાં આવ્યો છે.

NSUIએ પ્રવેશ માટે આઠમો રાઉન્ડ શરૂ કરવા 1200 જેટલા વિદ્યાર્થીઓના આવેદન પ્રવેશ સમિતિને આપ્યા છે. જો કે કુલપતિ પાસેથી વધારાના રાઉન્ડની પરવાનગી ના મળતા પ્રવેશ સમિતિ પણ અસંજસની સ્થિતિમાં છે. જો હવે આઠમો રાઉન્ડ યોજાય તો તે માટે પિન વિતરણ કરવું પડે, ત્યારબાદ એનરોલમેન્ટની પ્રક્રિયા પૂર્ણ કરવામાં લાંબો સમય લાગી શકે છે. અગાઉ NSUIએ પ્રવેશ સમિતિની ઓફિસ, ગુજરાત યુનીવર્સિટી ખાતે વિરોધના ભાગરૂપે તાળાબંધી પણ કરી હતી.

(5:22 pm IST)