ગુજરાત
News of Monday, 11th January 2021

માણાવદર અને મઢી બાદ સાવલીમાં બર્ડ ફ્લૂનો કેસ

ગુજરાત પર બર્ડ ફ્લૂનો ભારે ભરડો : વસંતપુરા ગામમાં ૩૦ કાગડાનાં મૃત્યુ થયાં બાદ પાંચ સેમ્પલમાંના ત્રણ કાગડાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

ગાંધીનગર, તા.૧૧ : ગુજરાતના જામનગર બાદ સુરતમાં પણ બર્ડ ફ્લૂની એન્ટ્રી થઇ. રાજ્યમાં જૂનાગઢ જિલ્લાના માણાવદર અને સુરત જિલ્લાના બારડોલીના મઢી બાદ હવે બર્ડ ફ્લૂનો ત્રીજો કેસ વડોદરાના સાવલીમાં સામે નોંધાયો છે. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વસંતપુરા ગામમાં ૩૦ કાગડા નાં મૃત્યુ થયાં બાદ સેમ્પલ ભોપાલ ખાતે રિપોર્ટ માટે મોકલવામાં આવ્યાં હતાં, જ્યાં કાગડા રિપોર્ટ બર્ડ ફ્લૂ પોઝિટિવ આવ્યો છે.

ચાર દિવસ પહેલા બારડોલીના મઢી રેલવે સ્ટેશનના સ્ટાફ ક્વાર્ટર્સમાંથી મૃત હાલતમાં મળી આવેલા ચાર કાગડામાંથી બેમાં બર્ડ ફ્લૂ પોઝિટિવ હોવાની પુષ્ટિ થઇ છે. બર્ડ ફ્લૂનો પોઝિટિવ કેસ નોંધાતા પશુપાલન વિભાગની સાથે આરોગ્ય વિભાગ પણ દોડતો થઇ ગયો છે. સુરતના ઉચ્છલમાં ૨૦૦૦ મરઘાંનાં ટપોટપ મોત થતાં તંત્ર હરકતમાં આવી ગયું હતું. દરમિયાન છઠ્ઠી જાન્યુઆરીના રોજ સુરતના બારડોલી સ્થિત મઢી રેલવે સ્ટેશનના સ્ટાફ ક્વાર્ટર્સમાંથી મૃત હાલતમાં ચાર કાગડા મળી આવતા તંત્રે બર્ડ ફ્લૂની તપાસ માટે ભોપાલ મોકલી આપ્યા હતા. ભોપાલ મોકલાયેલા ચાર કાગડા પૈકી બે કાગડામાં બર્ડ ફ્લૂ પોઝિટિવ હોવાની પુષ્ટી થઇ હતી. ગુજરાતમાં જૂનાગઢ જિલ્લાના માણાવદર અને સુરત જિલ્લાના બારડોલીના મઢી બાદ હવે બર્ડ ફ્લૂનો ત્રીજો કેસ વડોદરાના સાવલીમાં સામે નોંધાયો છે. બર્ડ ફ્લૂ પોઝિટિવનો પહેલો કેસ જામનગરમાં નોંધાઇ ચૂક્યો છે. ત્યારે રાજ્યમાં બીજો અને દક્ષિણ ગુજરાતમાં બર્ડ ફ્લૂનો પહેલો પોઝિટિવ કેસ સુરતમાં નોંધાયો છે.

બર્ડ ફ્લૂનો ચેપ પક્ષીમાંથી માનવીમાં ફેલાવાની સંભાવના ખૂબ ઓછી છે. આમ છતાં બર્ડ ફ્લૂ પોઝિટિવ પક્ષીઓના સીધા સંપર્કમાં આવવાથી ચેપ લાગી શકે છે. દરમિયાન મનુષ્યમાં પણ બર્ડ ફ્લૂ ફેલાવાની સંભાવના હોવાથી આરોગ્ય વિભાગે સઘન સર્વેલન્સ શરૂ કર્યું છે.રાજ્યમાં ચોતરફ મોટાપાયે પક્ષીઓના શંકાસ્પદ મોતને પગલે સલામતીના ભાગરૂપે તમામ પ્રાણી સંગ્રહાલયોમાંના પક્ષીઘરો વિઝિટર્સ માટે તાત્કાલિક અસરથી બંધ કરી દેવાયા છે અને સાથે નળસરોવર, થોળ, ખિજડિયા સહતિના વેટલેન્ડ્સ જે શનિ-રવિ દરમિયાન ખુલ્લા રખાયા હતા, તે પણ આજકાલમાં બંધ કરી દેવાશે, એવું વનવિભાગના પીસીસીએફ- વાઇલ્ડલાઇફ શ્યામલ ટીકાદરે અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. કચ્છ, પોરબંદર, વલસાડ. ડાંગ વગેરે અનેક જિલ્લાઓમાં સંખ્યાબંધ પક્ષીઓના શંકાસ્પદ મોતની ઘટનાઓ સામે આવી છે, તદુપરાંત વિવિધ સ્થળે પોલ્ટ્રી ફાર્મ્સ ખાતે પણ મોટાપાયે મરઘાનાં મોત થયાં છે, જેને કારણે બર્ડ ફ્લૂનો મોટા પ્રમાણમાં પગપેસારો થયો હોવાનું માનવામાં આવે છે.

(8:59 pm IST)