ગુજરાત
News of Monday, 11th January 2021

પ્રલાદનગર ફાયર સ્ટેશનમાંથી શબવાહિનીની થયેલી ચોરી

કોરોના કાળમાં શહેરમાં ચોરી-લૂંટના બનાવ વધ્યા : પ્રહલાદનગર ફાયર સ્ટેશનમાં નવી શબવાહીની આવી હતી

અમદાવાદ, તા.૧૧ : કોરોના કાળમાં લોકોના ધંધા-રોજગાર છીનવાઇ ગયા છે ત્યારે અમદાવાદ શહેરમાં ચોરી-લૂંટની ઘટનાઓ પણ વધી રહી છે. તાજેતરમાં અમદાવાદ શહેરમાં બંદુકની અણીએ બે લૂંટની ઘટનાઓ બની હતી. ત્યારે હવે શહેરમાં ચોરીનો ગ્રાફમાં ઉંચકાઇ રહ્યો છે. જોકે આજે અમદાવાદના પ્રહલાદનગર ફાયર સ્ટેશનનો ચોરીનો બનાવ આખા શહેરમાં કૂતુહલ જગાવી છે. કારણ કે, ચોરોએ ઘરનો સામાન કે બીજી કોઇ મોંઘી વસ્તુ નહી પરંતુ મૃત્યુ બાદ કામમાં આવતી મહત્વની વસ્તુની ચોરી કરી હતી.

અમદાવાદના પ્રહલાદ નગર ફાયર સ્ટેશનમાંથી ૩૦ લાખની શબવાહિની ચોરી થતા મામલો વાયુવેગે સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો. અને આખા શહેરમાં લોકો એવી ચર્ચા કરી રહ્યા હતા કે, ચોરોને પણ બીજું કંઇ નહીં પણ શબવાહિની ચોરવી પડી. કોરોના કાળમાં શહેરમાં સૌથી વધુ જે વ્હિકલની તંગી છે તેની ચોરી થતા લોકો ચોરોની માનસિક્તા અંગે અવનવી ટિપ્પણીઓ કરી રહ્યા છે.

જણાવી દઇએ કે, અમદાવાદના પ્રહલાદ નગર ફાયર સ્ટેશનમાં નવી શબવાહીની તાજેતરમાં આવી હતી, જેની કિંમત ૩૦ લાખ રૂપિયા બતાવવામાં આવી રહી છે. જોકે ગત રાત્રે ત્રણ વાગ્યે શબવાહિનીની ચોરી થઇ ગઇ હતી. મામલે આંનંદનગર પોલીસે તપાસ હાથ ધરી છે.

કોઇના ઘરમાં કોઈ વ્યકિત મૃત્યુ પામે અને સરકારી શબવાહિનીની જરૂરિયાત ઉભી થાય છે. શબવાહિની જેવી અત્યંત પાયાગત અને માનવીય સેવા પૂરી પાડવામાં આવે છે તેની ચોરી થતા આખા શહેરમાં લોકો ચર્ચા કરી રહ્યા છે. હાલમાં સોશિયલ મીડિયામાં લોકો ચોર પ્રત્યે ફિટકાર વરસાવી રહ્યા છે.

(9:00 pm IST)