સુરતના સરથાણા વિસ્તારમાં અભ્યાસના ડરથી ધો.10ની વિદ્યાર્થિનીએ ઝેરી દવા ગટગટાવી જીવનલીલા સંકેલી લેતા અરેરાટી મચી જવા પામી
સુરત: સરથાણામાં રવિવારે બપોરે પરીક્ષાના ટેન્શનમાં ધો.10ની વિધાર્થીનીએ ઝેરી દવા પીને જીવન ટુંકાવ્યુ હતુ. સારવાર દરમિયાન કોરોના ટેસ્ટ કરાવતા વિધાર્થીનીનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. પણ મોતનું કારણ જાણવા માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ડોકટરોએ પીપીઇ કિટ પહેરીને પોસ્ટમોર્ટમ કર્યુ હતુ.
સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ સરથાણામાં યોગીચોક ખાતે રહેતી 15 વર્ષીય તરૃણી રવિવારે બપોરે ઘરે અનાજમાં નાખવાનો પાવડર ખાઇ ગઇ હતી. તેથી તેને પરિવારજનોએ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી. ત્યાં તેની સારવાર દરમિયાન કોરોના ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો અને તેનું ટુંકી સારવાર દરમિયાન મોત થયુ હતુ. બાદમાં તેનો મૃતદેહને સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. ત્યાં તેનું પોસ્ટ મોર્ટમ કર્યા બાદ ડોકટરે કહ્યુ કે તેના મોતનું સાચુ કારણ જાણવા માટે ડોકટરે પીપીઇ કિટ પહેરીને તેના હોજરી, લીવર જેવા ભાગ માત્ર ખોલીને જરૃરી સેમ્પલ લીધા હતા. તેનો રિપોર્ટ આવ્યા બાદ હકીકત જાણવા મળશે. પોલીસે કહ્યુ કે તરૃણી મુળ અમરેલીના સાવરકુંડલાની વતની હતી. તે ધો. 10માં અભ્યાસ કરતી હતી. તેણે પરિક્ષાના ટેન્શનમાં આ પગલુ ભર્યુ હતુ. તેની એક બહેન અને એક ભાઇ છે. તેના પિતા હીરાના કામ સાથે સંકળાયેલા છે. આ અંગે સરથાણા પોલીસે તપાસ હાથ ઘરી છે.