વડોદરાના નવાપુરા વિસ્તારમાં પત્ની સાથે છૂટાછેડા થઇ જતા ડિપ્રેશનમાં આવી 40 વર્ષીય શખ્સે ફાસો ખાઈ મોતને વ્હાલું કર્યું
વડોદરા:પત્ની સાથે છૂટાછેડા અને બેકારીના કારણે સતત ડિપ્રેશનમાં રહેતા ૪૦ વર્ષના યુવાને અગાશી પર રૃમમાં જઇ પંખા પર દોરી વડે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.જે અંગે નવાપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,નવાપુરા સિદ્ધનાથ રોડ પર કમલપ્રભા એપાર્ટમેન્ટમાં રહેતો ગૌરાંગ રામચંદ્ર ઠાકોર છૂટક ધંધો કરતો હતો.ગઇકાલે તેણે અગાશી પર રૃમમાં પંખા પર દોરી વડે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.સવારે તેનો ભાઇ અગાશી પર જતો હતો.પરંતુ,અગાશીનો દરવાજો બંધ હોય તેણે બાજુના એપાર્ટમેન્ટ પર જઇને જોયુ તો તેના ભાઇએ રૃમમાં ફાંસો ખાઇ લીધો હતો.બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા એ.એસ.આઇ.ચતુરભાઇએ તપાસ શરૃ કરી હતી.પોલીસને પ્રાથમિક તપાસ દરમિયાન એવી વિગતો જાણવા મળી હતી કે,ગૌરાંગ ઠાકોર છૂટક ધંધો કરતો હતો.પરંતુ,છેલ્લા બે વર્ષથી તેનો ધંધો બરાબર ચાલતો નહતો.અને તે દરમિયાન પત્ની સાથે તકરાર થતા બંને વચ્ચે છૂટાછેડા થઇ ગયા હતા.લોકડાઉન પછી તેનો ધંધો સાવ ભાંગી પડયો હતો.તેના કારણે ગૌરાંગ સતત ડિપ્રેશનમાં રહેતો હતો.અને તેના કારણે જ તેને આપઘાત કરી લીધો હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.