સુરત: વીજ કંપનીના બીલો ભરવાના બહાને ગ્રાહકો પાસેથી ઓટીપી મેળવી ઓનલાઇન છેતરપિંડી આચરનાર ભેજાબાજ વિરુદ્ધ ગુનો દાખલ
સુરત:શહેરમાં વીજ કંપનીના વીજ બીલો ભરવા તથા ક્રેડીટકાર્ડ ઈન્સ્યોરન્સના નામે ગ્રાહકો પાસેથી ઓટીપી મેળવીને નામે ઓનલાઈન ગુનાઈત ઠગાઈના કારસા બદલ અડાજણ પોલીસે ઝડપેલા આરોપીઓના રિમાન્ડની અવધિ પુરી થતાં વધુ રિમાન્ડ ન મંગાતા આરોપીઓ કરેલી જામીનની માંગને આજે ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટે નકારી કાઢી છે.
આરબીએલ બેંકના કસ્ટમર કેરમાંથી બોલું છું તેવું જણાવીને ક્રેડીટ કાર્ડ ઈન્સ્યોરન્સને બંધ કરવા તથા વીજ કંપનીના વીજબીલો ભરવાના નામે ઓટીપી મેળવી ગ્રાહકો સાથે ઓનલાઈન ફ્રોડ કરવાના ગુનાઈત કારસા અંગે અડાજણ પોલીસમાં છ જેટલા આરોપીઓ વિરુધ્ધ આઈટી એક્ટ તથા ગુનાઈત ઠગાઈના કારસા અંગે અડાજણ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.જે મુજબ આરોપી કિશોર પ્રજાપતિ,ભરત સલીયા,યશ ભુપતાણી,વિરભદ્રસિંહ ઝાલા, મેહુલ કાકડીયા,જીતેન્દ્ર મંડલ વગેરેએ એકબીજાના મેળાપિપણામાં ગ્રાહકો સાથે લાખો રૃપિયાની ઓનલાઈન ગુનાઈત ઠગાઈનો કારસો રચ્યો હતો.
આ કેસમાં અડાજણ પોલીસે આરોપી કિશોર અરજણ પ્રજાપતિ (રે.જેકેપી નગર,કતારગામ) ભરત બાબુ સલીયા (રે.સહજ ઈમ્પિરીયા,કતારગામ)ગઈ તા.5મી જુનના રોજ ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.જે રિમાન્ડની અવધિ પુરી થતાં તપાસ અધિકારીએ વધુ રિમાન્ડની માંગ ન કરતાં આરોપીઓ તરફે જામીન અરજી દાખલ કરી જામીન મુક્ત કરવા માંગ કરી હતી.જેના વિરોધમાં એપીપી સુનિલ પટેલે જણાવ્યું હતું કે આરોપીઓ વિરુધ્ધ ગંભીર ગુનાની તપાસ ચાલુ હોઈ જામીનમુક્ત કરવાથી સાક્ષી પુરાવા સાથે ચેડા થવાની સંભાવના છે.