ગુજરાત
News of Saturday, 11th June 2022

૧ર કલાકના રોડ-શોના કારણે પ્રજાને તકલીફ ન પડે તે માટે વડોદરામાં નરેન્‍દ્રભાઇનો રોડ-શો રદ કરાયોઃ સી.આર.પાટીલ

આતંકવાદી હુમલાની ધમકીના પગલે સુરક્ષા વ્‍યવસ્‍થા વધુ મજબુત કરાઇ

ગાંધીનગર તા.૧૧: વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીનો ૧૭મી જુને વડોદરામાં રોડ શોનો કાર્યક્રમ રદ થયો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ટવીટ કરતા જણાવ્‍યું છે કે ૧ર કલાકે રોડશોમા નાગરીકોને તકલીફ ન પડે માટે પ્રજા પડખે રહી સુખાકારી માટે નિર્ણય લેવાયો છે આંતકી સંગઠનની દેશમાં હુમલાની ધમકી મળતા સુરક્ષા સઘન બનાવાઇ છે.

પીએમ નરેન્દ્ર મોદી આગામી 18 જૂને ગુજરાત આવવાના છે. ત્યારે તેઓ વડોદરામા રોડ શો કરવાના હતા. ત્યારે તેમનો આ રોડ શો રદ કરવામા આવ્યો છે. પીએમ મોદીએ લોકોની ચિંતા કરીને રોડ શો રદ કરવાની જાહેરાત કરી છે. જોકે, તેમના 18 જૂનના કાર્યક્રમો રાબેતામુજબ રહેશે. જેમાં તેઓ પાવાગઢ મંદિરે ધજારોહણ કાર્યક્રમમાં હાજરી આપશે.

આ વિશે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ટ્વીટ કરીને માહિતી આપી કે, દેશનાં નાગરિકોની પડખે રહી સદાય એમની કાળજી લેતા આપણાં યશસ્વી અને વંદનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 18મી જૂને વડોદરા ખાતે બપોરે 12 કલાકે યોજાનારો રોડ શો શહેરનાં નાગરિકોને તકલીફ ના પડે એ ધ્યાનમાં રાખીને રદ કરવાની સૂચના આપી છે. પ્રજાની પડખે રહી, પ્રજાની સુખાકારીને સદાય કેન્દ્રમાં રાખી નિર્ણય લેનારા પ્રધાનમંત્રીનો હું આભાર વ્યક્ત કરું છું. 

દેશનાં નાગરિકોની પડખે રહી સદાય એમની કાળજી લેતા આપણાં યશસ્વી અને વંદનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબે 18મી જૂને વડોદરા ખાતે બપોરે 12 કલાકે યોજાનારો રોડ શો શહેરનાં નાગરિકોને તકલીફ ના પડે એ ધ્યાનમાં રાખીને રદ કરવાની સૂચના આપી છે.
(1/2)

— C R Paatil (@CRPaatil) June 11, 2022

ઉલ્લેખનીય છે કે, આતંકવાદી સંગઠન અલકાયદાએ દેશમાં હુમલાની ધમકી આપ્યા બાદ ગુજરાતભરમાં અલર્ટ અપાયું છે. આતંકી હુમલાના અલર્ટને પગલે ગુજરાત બોર્ડરે સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ગુજરાત, દિલ્લી, મુંબઈમાં હુમલાની ધમકીને પગલે પોલીસ અલર્ટ થઈ ગઈ છે. ગુજરાતમાં આવતા તમામ વાહનોનું ચેકિંગ થઈ રહ્યું છે. જેમાં ખાસ કરીને, અંબાજી નજીક છાપરી બોર્ડર પર સુરક્ષા વધારવામાં આવી છે. છાપરી બોર્ડર પર હથિયારધારી પોલીસ તૈનાત છે. તો બીજી તરફ યાત્રાધામ શામળાજી મંદિરની સુરક્ષામાં પણ વધારો કરાયો છે. મંદિરની સુરક્ષા માટે પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે..હાઈ અલર્ટને પગલે દ્વારકા મંદિરમાં થ્રી લેયર સુરક્ષા રાખવાનો નિર્ણય કરાયો છે. હાલમાં દ્વારકા જિલ્લાની તમામ ચેકપોસ્ટ પર વાહનોનું ચેકિંગ કરાઈ રહ્યું છે. ભીડભાડવાળા વિસ્તારોમાં પોલીસ બાજ નજર રાખી રહી છે. દ્વારકા મંદિરમાં CCTVથી પણ વોચ રાખવામાં આવી રહી છે. આતંકી હુમલાના અલર્ટને પગલે ઠેર ઠેર પોલીસ તૈનાત થઈ ગઈ છે.

 

(6:08 pm IST)