ગુજરાત
News of Thursday, 11th August 2022

અશોક ગેહલોતના હાથમાં ગુજરાત કોંગ્રેસની કમાન : ચૂંટણી મેનિફેસ્ટો તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ

વિવિધ આગેવાનો પાસેથી જનતાના ફીડબેક લેવાશે: બુથ લેવલની રણનીતિ તૈયાર કરવા માટે કોંગ્રેસ ખાનગી એજન્સીઓની મદદ લેશે.

અમદાવાદ: આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ ગુજરાત કોંગ્રેસ વધુ સક્રિય બની ગઈ છે. રાજ્યમાં આમ આદમી પાર્ટી મતદારોને આકર્ષવા માટે ગેરંટીઓ આપવાની જાહેરાત કરી દીધી છે, ત્યારે કોંગ્રેસ પર ચૂંટણી મેનિફેસ્ટો તૈયાર કરવાની પ્રક્રિયાનું લોન્ચિંગ કરશે તેવી માહિતી મળી રહી છે. મુખ્ય નિરીક્ષક અશોક ગહેલોતની ઉપસ્થિતિમાં લોન્ચિંગ કરવાનું આયોજન ગુજરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં ચૂંટણી ટાણે મેનિફેસ્ટો તૈયાર કરવા જિલ્લા મુજબ બેઠકો કરવાનો નિર્ણય કોંગ્રેસ દ્વારા લેવામાં આવ્યો છે. જ્યાંથી વિવિધ આગેવાનો પાસેથી જનતાના ફીડબેક લેવામાં આવશે. બુથ લેવલની રણનીતિ તૈયાર કરવા માટે કોંગ્રેસ ખાનગી એજન્સીઓની મદદ લેશે. જેમાં પાછલા પરિણામોનું એનાલિસીસ કરી ઓછા મત મળ્યા હોય એવા બુથને મજબૂત કરવાનું આયોજન કરાયું છે. ગુજરાત કોંગ્રેસ બુથ દીઠ સંયોજક નિમવાની પણ વિચારણા કરી રહ્યું છે. આંતરિક પ્રક્રિયામાં 8.50 લાખથી વધુ ભરાયેલા ફોર્મમાંથી 30 ટકાની નિમણુંક થઈ છે.

મહત્વનું છે કે, ગુજરાત કોંગ્રેસ પાર્ટી માટે કમિટેડ હોય એવા કાર્યકરોને તેમની આવડત મુજબ કામગીરી સોંપાઈ રહી છે. જેઓ મતદારોનો સંપર્ક કરવા મોટા કોલ સેન્ટર પણ ઉભા કરવાની પ્રક્રિયા પણ શરૂ કરાઇ રહી છે.

ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. મિશન 2022ને લઈ કોંગ્રેસે તૈયારીઓ શરુ કરી દિધી છે. ગુજરાત કોંગ્રેસના સિનિયર ઑબઝર્વર અને રાજસ્થાનના CM અશોક ગેહલોત આગામી સમયમાં ગુજરાત પ્રવાસે આવશે અને તેઓ ગુજરાત કોંગ્રેસ 2022ની ચૂંટણી રણનિતીને આખરી ઓપ આપશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે અશોક ગેહલોતને સિનિયર ઑબઝર્વર તરીકે નિયુક્ત કર્યા છે.

મહત્વનું છે કે, અગાઉ પણ ગુજરાત કોંગ્રેસના નેતાઓ દિલ્હી પહોંચ્યા હતા. જ્યાં ચૂંટણીલક્ષી અને ગુજરાત કોંગ્રેસના આયોજનો અંગે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. ચૂંટણીલક્ષી તૈયારીઓની સમીક્ષા પણ કરાઈ હતી. તમને જણાવી દઈએ કે સમગ્ર દેશમાં ધીરેધીરે કોંગ્રેસનું વર્ચસ્વ ખતમ થઈ રહ્યું છે, ત્યારે ગુજરાતમાં ગમે તેમ કરીને કોંગ્રેસ સત્તા મેળવવા માટે કોશિશ કરી રહ્યું છે. દિલ્હી હાઈકમાન્ડ ગુજરાતના નેતાઓને રાજ્યમાં છેલ્લા 27 વર્ષોથી શાસન કરી રહેલી ભાજપને સત્તામાંથી હટાવવા માટે ચૂંટણી માટે એકજૂટ થવાની તૈયારી કરવા કહેવાયું છે.

હાઈકમાન્ડે તો ગુજરાત કોંગ્રેસના નેતાઓને એટલે સુધી કહી દેવામાં આવ્યું છે કે ગુજરાતમાં જે રણનીતિ ઘડવી હોય એમ ઘડો, પરંતુ અમારે તો પરિણામ જોઈએ છે. કોઇપણ ભોગે 2022ની ચૂંટણીમાં પરિણામ લાવવા સૂચના અપાઈ છે.

 

(11:26 pm IST)