રાજપીપળા નગરપાલિકા દ્વારા જુનાકોટ વિસ્તારમાં 86 લાખના ખર્ચે અદ્યતન સ્મશાન ગૃહ બનાવશે
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેર વાસીઓ માટે નગર પાલિકા વિસ્તારમાં અદ્યતન સ્મશાન ગૃહ બનાવવાનું રાજપીપળા નગરપાલિકાએ નક્કી કર્યું છે.ગુજરાત સરકારે 86 લાખ રૂપિયાની ગ્રાંટ ફાળવી છે.રાજપીપળા નગરપાલિકા દ્વારા શહેરના જુના કોટ વિસ્તારમાં અદ્યતન સ્મશાન ગૃહ બનાવાશે.આગામી સમયમાં 1371 ચો.મી ની વિશાળ જગ્યામાં 10 ફૂટની કંપાઉન્ડ વૉલ વાળુ આધુનિક પદ્ધતિથી સજ્જ અદ્યતન સ્મશાન ગૃહ આકાર પામશે.એ સ્મશાન ગૃહમાં પ્રાર્થના હોલ, ઇલેક્ટ્રિક ભઠ્ઠી, ગેસ ભઠ્ઠી, ભવ્ય મંદિર, શંકર ભગવાનની ભવ્ય પ્રતિમા, લાાકડાઓ સ્ટોરેજ કરવાનો મોટો રૂમ અને 3 મૃતદેહો એક સાથે રાખી શકાય એટલી ક્ષમતાનું કોલ્ડ સ્ટોરેજ, પીવાના પાણી અને શૌચાલયની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાશે.
રાજપીપળા પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે કોરોના કાળમાં મૃત્યુ આંક વધ્યો હતો, અગ્નિદાહ માટે લોકોએ રાહ જોવી પડતી હતી.માટે બીજું સ્મશાન ગૃહ જરૂરી બન્યું હતું.લોકોની સુવિધા માટે જ આ નિર્ણય લીધો છે.અમે અધિકારીઓ સાથે એ જગ્યાની મુલાકાત લઈ પ્લાનિંગ કરી લીધું છે, ટૂંક સમયમાં અદ્યતન સ્મશાન તૈયાર થઈ જશે.