News of Monday, 12th July 2021
સરસપુરમાં મામેરાની વિધિ પૂર્ણ, ત્રણેય રથ સરસપુરથી નીકળ્યા : મંગળા આરતીમાં ગૃહમંત્રી અમિતભાઇ શાહ અને પ્રદીપસિંહ જાડેજા જોડાયા
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મંદિર પરિસરમાં સોનાની સાવરણી સાથે પરંપરાગત રીતે પહિંદ વિધિ કરીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું
અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાની પરંપરાગત વિધિઓ વહેલી સવારે 4 વાગ્યાથી શરૂ થઈ છે. ભગવાન જગન્નાથજીની વહેલી સવારે ગૃહમંત્રી અમિતભાઈ શાહ મંગળા આરતીમાં હાજર રહ્યા હતા. તેમની સાથે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ મંગળા આરતીમાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મંદિર પરિસરમાં સોનાની સાવરણી સાથે પરંપરાગત રીતે પહિંદ વિધિ કરીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. તેમની સાથે નીતિનભાઈ પટેલ, ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા સહિતના લોકો હાજર રહ્યાં હતાં. આ પહેલા રાજ્ય સરકારે રથયાત્રાના રૂટ પર કર્ફ્યૂ લગાવી રથયાત્રા યોજવા મંજૂરી આપી હતી.
(10:08 am IST)