ગુજરાત
News of Monday, 12th July 2021

જ્‍યારે હું 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ માટે મત માંગવા આવીશ ત્‍યારે 5 વર્ષનો હિસાબ પણ આપીશ, હું વાણિયાનો દીકરો છું, હિસાબમાં ભુલ નહીં થાયઃ ગાંધીનગર જીલ્લાના કલોલના આદિપુરમાં વિકાસકાર્યોનું અમિતભાઇ શાહના હસ્‍તે લોકાર્પણ

ગાંધીનગર: કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ આજે ગાંધીનગર જિલ્લાની મુલાકાતે છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ ગાંધીનગરના કલોલનાં આદિપુર ગામે તળાવના નવીનીકરણ માટે ખાતમુહૂર્ત કર્યું. આ ઉપરાંત 26 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું. નાદીપુર ગામે તળાવના ખાતમુહૂર્ત અને અન્ય લોકાર્પણ કાર્યક્રમની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી.

કેન્દ્રીય ગૃહમંત્રી તથા ગાંધીનગર લોકસભા સાંસદ અમિત શાહ બે દિવસ ગુજરાત પ્રવાસે છે. તેઓ પોતાના મતવિસ્તારમાં વિકાસ કાર્યોનું લોકર્પણ કરવાના છે. જો કે, ગઈકાલે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે 215 કરોડના 7 કામોનું લોકાર્પણ અને 2 કામોનું ખાતમુહૂર્ત કરી અમદાવાદને ભેટ આપી હતી. ત્યારે આજે તેઓ ગાંધીનગરની મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં તેમણે કાલોલનાં આદિપુર ગામે તળાવના નવીનીકરણ માટે ખાતમુહૂર્ત કર્યું. આ ઉપરાંત 26 કરોડના 55 વિકાસ કામોનું લોકાર્પણ કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું.

નારદીપુર ગામમાં લોકાર્પણ પ્રસંગે તેમણે કહ્યું કે, આજે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ દર્શન આપવા નગરચર્યાએ નિકળ્યા છે. હું નસીબદાર છું કે, સવારે 4 વાગ્યે ભગવાનની મંગળા આરતી કરવાની મને તક મળી હતી. આજે હું નારદીપુર ગામમાં આવ્યો છું અહીં કુતરા બિલા પણ ભુખ્યા ન રહે તેની ચિંતા લોકો કરે છે. કલોલ મત વિસ્તારનું સૌથી મોટું ગામ નારદીપુર છે. હું જ્યારે માણસામાં હતો ત્યારે અહીં રાખડી બંધાવવા આવતો હતો.

નારદીપુરમાં રહેતા ભીખીબેન હાલ અમેરિકામાં રહે છે. તેમના હાથે રાખડી બંધાવવા માટે અહીં આવ્યો હતો. કોરોના સમય ખુબ જ કપરો રહ્યો છે. બીજી લહેરમાં કોરોના ખુબ ઝડપી વધ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખુબ જ મહેનત કરી છે. તેમ છતાં સ્વજન ગુમાવવાનો વારો આવ્યો. જો કે, હવે કોરોનાથી કોઈનું મૃત્યુ ન થયા તેવા અમે પ્રયત્ન કરીએ છીએ. રસીકરણથી જ તે શક્ય બની શકે છે. સૌને રસીકરણ કરવા અપીલ કરું છું.

અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, લાલ કાર્ડવાળા પરિવારને અનાજ મળવું જોઇએ. અનાજ વિનામૂલ્યે આપવામાં આવે છે. દિવાળી સુધી વિનામૂલ્યે અનાજ આપવામાં આવશે. ભાજપના નેતાઓ અને કાર્યકરોને આ કામ કરવા અપીલ કરું છું. વિકાસના નામે ઝાડ કપાયા છે હવે આજની પેઢીએ વૃક્ષારોપણ પર ભાર મુક્યો છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા વિસ્તારના દરેક ગામોનો વિકાસ કરવામાં આવશે તેવો વિશ્વાસ આપ્યો હતો. તેમણે કહ્યું કે, જ્યારે હું 2024 લોકસાભા ચૂંટણીમાં ભાજપ માટે મત માગવા આવીશ ત્યારે પાંચ વર્ષનો હિસાબ પણ આપીશ. હું વાણિયાનો દીકરો છું હિસાબમાં ભુલ નહીં થયા.

(4:56 pm IST)