વલસાડ જીલ્લાના ભિલાડ પાસે ત્રિપલ અકસ્માતમાં 3ના મોતઃ 4 વ્યકિતઓને ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડાયા
બસ, ટ્રેક અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો
વલસાડ: વલસાડ જિલ્લાના ભિલાડ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ભિલાડ પાસે ત્રણ વાહનો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. તો ચારથી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાં એક દંપતીનું મોત નિપજ્યું છે.
ભિલાડ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આ અકસ્માતની ઘટના બની હતી. જેમાં બસ, ટ્રક અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઘટના બાદ તત્કાલિક પોલીસ સ્થળ પર પહોંચી ઘાયલોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જોકે, આ ઘટનામાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે. જેમાં એક દંપતી અને એક શખ્સનો સમાવેશ થાય છે.
ત્રણેય મૃતકો ભિલાડ નજીક કનાડુ ગામના વતની હતી. જેમાં મ્યુઝિક વ્યવસાય સાથે સંકળાયેલ મુકેશભાઈ પોતાની પત્ની સાથે કામ અર્થે બહાર નીકળ્યા હતા, ઘરે પરત ફરતા સમયે તેમની ગાડીને અકસ્માત સર્જાયો હતો. જેમાં બંને મોતને ભેટ્યા હતા. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.