ગુજરાત
News of Saturday, 13th February 2021

સીએની પિતાની ઈચ્છા પૂરી કરી ૨૫ વર્ષનો યુવક દીક્ષા લેશે

કિશોર અવસ્થામાં જ મુનિ બનવાનો નિર્ણય કર્યો હતો : પેટાઃ ૨૫ વર્ષનો હર્ષ સિંઘી મે મહિનામાં ભક્તિ યોગાચાર્ય યશોવિજયસૂરીજી મહારાજ પાસેથી દીક્ષા લેશે

અમદાવાદતા. ૧૩ : સાધુ બનવા માટે આપણે ઘણા લોકોને કોર્પોરેટ લાઈફ છોડતા જોયા છે. પરંતુ સુરતનો છોકરો સાંસારિક જીવનનો ત્યાગ કરવાની પૂર્વ શરતના રુપમાં ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બન્યો. ૨૫ વર્ષનો હર્ષ સિંઘી, જે મે મહિનામાં ભક્તિ યોગાચાર્ય યશોવિજયસૂરીજી મહારાજ પાસેથી દીક્ષા લેવાનો છે. તેણે કહ્યું કે, જ્યારે તે કિશોર અવસ્થામાં હતો ત્યારે તેણે મુનિ બનવાનું મન બનાવી લીધું હતું

મેં ઘણી અકાઉન્ટ બૂક્સનું ઓડિટ કર્યું છે પરંતુ મને સમજાયું કે, આપણે આપણી વિચારસરણી માત્ર નફા અને નુકસાન સુધી મર્યાદિત કરી છે. થોડા લોકો આત્માનું ઓડિટ કરે છે, જે ખરેખર જન્મ-મરણને પાર કરે છે, તેમ હર્ષે કહ્યું.

હર્ષે કહ્યું કે, તેનો પરિવાર ધાર્મિક હોવાથી જીવનના ખૂબ પહેલા પડાવમાં તે પ્રભાવિત થયો હતો. એક દિવસ આધ્યાત્મિક પ્રવચન સાંભળ્યા બાદ, મેં મારી મોટી બહેનને જૈન મુનિ બનવાની મારી ઈચ્છા વિશે કહ્યું હતું. અમારા બંને વચ્ચે અડધી રાતે થયેલી વાતચીતને મારા પપ્પા સાંભળી ગયા હતા. બીજા દિવસે સવારે તેમણે મને કહ્યું કે, હું સીએ બનું તેવી તેમની ઈચ્છા હતી. તેથી બાદમાં હું મારા પસંદગીના માર્ગ પર ચાલવા માટે મુક્ત હતો, તેમ હર્ષે કહ્યું.

હર્ષે કહ્યું કે, તેના પિતાનો લગાવ હતો જેના કારણે તેમણે આવી પૂર્વ શરત રાખી હતી. મારા પપ્પાએ વિચાર્યું હશે કે, સાંસારિક જીવનને ત્યાગ કરવાનો વિચાર હું મારા મનમાંથી કાઢી નાખીશ. મેં મારા પપ્પાની ઈચ્છાને માન આપવાનું નક્કી કર્યું અને સીએ ફાઈનલ એક્ઝામને ક્લીયર કરવા માટે મારી જાતને પ્રતિબદ્ધ બનાવ્યો, તેમ હર્ષે કહ્યું.

જ્યારે તે સીએની પરીક્ષા આપી રહ્યો હતો ત્યારે તેણે ફરીથી તેના પપ્પા સાથે દીક્ષા લેવાના મુદ્દા પર વાતચીત કરી હતી. વખતે, તેની મોટી બહેન શ્રેયાના લગ્ન નક્કી થયા હોવાથી, જ્યાં સુધી લગ્ન થાય ત્યાં સુધી રાહ જોવાનું કહ્યું હતું.

લગ્ન પત્યાના બે દિવસ બાદ ફરીથી મેં મારા પપ્પા સાથે ચર્ચા કરી. મેં મારા તમામ વચનો પાળ્યા હતા.

(7:56 pm IST)