એક મહિનામાં મળી શકે છે સુરતને દૂરંતો ટ્રેનનું સ્ટોપેજ
દર્શના જરદોશ રેલ્વે પ્રધાન બનતા આશા બંધાઇ
સુરત, તા. ૧૩ : ગયા અઠવાડીયે સુરતના સાંસદ દર્શના જરદોશે રેલ્વે રાજય મંત્રીનો કાર્યભાર સંભાળ્યો પછી રેલ્વે બોર્ડે તેમના દ્વારા પહેલા કરવામાં આવેલ માંગણીઓનો રિવ્યુ શરૂ કર્યો છે. મુંબઇથી ઉપડતી દૂરંતો એકસપ્રેસને સુરતમાં સ્ટોપેજ આપવાની માંગણી પર વિચાર શરૂ થઇ ગયો છે. સુરત-મહુવા એકસપ્રેસને રોજ ચલાવવાની માંગણી પણ સંતોષય તેવી શકયતા છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં રહેતા બિહાર અને યુપીના શ્રમિકો માટે ચાલતી ટ્રેનોના ફેરા વધારવાની માંગણી પણ તેજ થઇ ગઇ છે.
સુત્રો અનુસાર, રેલ્વે બોર્ડે સુરતને દુરંતોના હોલ્ટ સહિત છેલ્લા ૧૦ વર્ષોથી ચાલી રહેલી માંગણીઓનું લીસ્ટ માંગ્યું છે. સાંસદ દર્શના જરદોશ રેલ્વે રાજય પ્રધાન બનતા જ યાત્રીઓની આશા વધી ગઇ છે. આ ઉપરાંત હાલમાં જ દર્શનાએ સંસદમાં સુરત-મહુવા એકસપ્રેસને ડેઇલી કરવા અને ઉતર ભારત તરફ જતી ઘણી ટ્રેનોને રેગ્યુલર કરવાની માંગણી કરી હતી. હવે આ બધી માંગણીઓ પર રેલ્વે બોર્ડે વિચારણા શરૂ કરી દીધી છે. આવકના મામલે પણ સુરત રેલ્વે સ્ટેશન મુંબઇ ડીવીઝનમાં મુંબઇ પછી બીજા નંબર પર છે.