માણસા શહેરના લાલ હનુમાન વિસ્તારમાં ત્રણ મહિના અગાઉ બનાવવામાં આવેલ પાણીના બોરમાં ખામી સર્જાતા સોસાયટીના લોકોને ધોળું પાણી પીવાની નોબત આવી
માણસા: શહેરના લાલ હનુમાન વિસ્તારમાં ત્રણ મહિના અગાઉ બનાવવામાં આવેલ નવીન પાણીના બોરમાં ખામી સર્જાતા છેલ્લા એક અઠવાડિયાથી સોસાયટી વિસ્તાર અને જુના બજારના વિસ્તારોમાં રહેતા લોકો માટી યુક્ત ડહોળુ પાણી પીવા મજબૂર બન્યો છે અને ગંભીર રોગચાળા ના ભય હેઠળ આ વિસ્તારનાં રહિશોએ આ સમસ્યાનો જલ્દી ઉકેલ આવી પીવાનું ચોખ્ખું પાણી મળે તેવી વ્યવસ્થા કરવા પાલિકાને રજુઆત કરી છે.
માણસા શહેરના ગાંધીનગર રોડથી રાણીયાપુરા જવાના રસ્તા પર આવેલ લાલ હનુમાન મંદિર પાસેની મહેશ્વરી સોસાયટી પાસે નગરપાલિકા દ્વારા શહેરીજનોને પીવાના પાણી માટે ત્રણ મહિના અગાઉ નવો બોર બનાવવામાં આવ્યો હતો અને આ નવો બોર બન્યા પછી જૂનો બોર બંધ કરી છેલ્લા પંદર દિવસથઈ મહેશ્વરી સોસાયટી, સત્યમ સોસાયટી, સજ્જનનગર સોસાયટી, અલકાપુરી સોસાયટી, રાવળવાસ, મણિયાર શેરી સહિતના બીજા અન્ય વિસ્તારોમાં પાલિકા દ્વારા પાણી શરૃ કરવામાં આવ્યું હતું પરંતુ શરૃઆતના એકાદ અઠવાડિયું પાણી શુદ્ધ આવ્યા બાદ પાણી માટીવાળું અને ડહોળું આવવા લાગતા લોકો ગભરાયા હતા અને આવું પાણી પીવાથી કોલેરા જેવો રોગચાળો ફાટી નીકળે તેવી આશંકાએ નગરપાલિકા કચેરીએ જઇ મૌખિક રજુઆત કરી હતી. જે અનુસંધાને પાલિકા તંત્ર સફાળું જાગ્યું હતું અને જે વિસ્તારમાં આ બોરથી પાણી પહોંચાડવામાં આવે છે ત્યાં જઇ રૃબરૃ તપાસ કરતા પાણી ગંદુ નહી પરંતુ માટી વાળુ આવતું હોવાનું જણાતા બોરમાં ખામી સર્જાઇ હોવાનું માની તાબડતોડ આ નવીન બોર સતત ચાલુ રાખી તેમાંથી નીકળતા પાણીની ચકાસણી શરૃ કરી દેવામાં આવી છે અને હવે પાલિકા બોરની માટી શોધી, નિરાકરણ લાવી શુદ્ધ પાણી શહેરીજનોને પહોંચાડે ત્યાં સુધી અત્યારે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૃપે નર્મદાનું પાણી આપવામાં આવી રહ્યું છે.