ગુજરાત
News of Thursday, 14th January 2021

ઉત્તરાયણ માતામમાં ફેરવાઈ : નાંદોદ તાલુકાના રસેલા ગામમાં રહેતા યુવાન ઉપર કટિંગ દરમિયાન તાડનું ઝાડ પડતા સારવાર દરમિયાન મોત

તાડ નું વૃક્ષ કાપનાર કેટલાક યુવાનોએ દોરડું બાંધી કટિંગ કરતા હતા એ સમયે મરનાર યુવાન પર જ વૃક્ષ પડતા ગંભીર ઇજાઓ થઈ હતી:મૃતક યુવાન જીવદયા પ્રેમી હોય ગામમાં કે આસપાસના વિસ્તારોમાં સરીસૃપો પકડવાની સેવા કરતો હતો

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રસેલા ગામના યુવાન પર તાડનું ઝાડ પડતા ગંભીર ઇજાઓ થતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

  પ્રાપ્ત માહિતી અનુસાર રસેલા ગામમાં મામાના ઘરે રહેતો મૂળ નાંદોદના વાવડી ગામનો મેહુલ ભરતભાઇ વસાવા(ઉ.વ.૨૪) આજે ઉતરાયણના દિવસે રસેલા ગામમાં તાડનું ઝાડ કાપતો હતો તેની સાથે અન્ય મિત્રો પણ હોય ઝાડને દોરડું બાંધી સલામતી પણ રાખી હોવા છતાં કટિંગ કરતી વખતે ઝાડ મેહુલ વસાવા પર જ પડતા તેને ગંભીર ઇજાઓ થતા રિક્ષામાં રાજપીપળા સિવિલ હોસ્પિટલ માં સારવાર અર્થે લાવ્યા બાદ વધુ સારવાર અર્થે વડોદરા એસએસજી માં રીફર કરાયો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થતા ઉત્તરાયણનો પર્વ તેના પરિવાર માટે માતામમાં ફેરવાઈ ગયો હતો. રાજપીપળા પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ હાથ ધરી છે.
 મરનાર મેહુલ વસાવા પોતે જીવદયા પ્રેમી હોય રસેલા સહિત આસપાસના ગામોમાં નિકળતા સરીસૃપો પકડવાની સેવા કરતો હોવાનું જાણવા મળ્યું છે.

(11:00 pm IST)