અષાઢી બીજની અમદાવાદની રથયાત્રાને આ વખતે પણ કોરોનાનુ ગ્રહણઃ આજે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાની આગેવાનીમાં સાદાઈથી ૩ ઐતિહાસિક રથની ચંદન પૂજા
અમદાવાદ તા. ૧૪: ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા (rathyatra) પહેલાં આજે શુક્રવારે સવારે 9 વાગે ત્રણેય રથનું પરંપરાગત રીતે પૂજન કરવામાં આવ્યું હતું. આજે અક્ષય તૃતીયાનો દિવસ છે. ત્યારે આજે જગન્નાથ મંદિરમાં આવેલ 3 ઐતિહાસિક રથની પૂજા કરવામાં આવી છે. જેને ચંદન પૂજા કહેવામા આવે છે. ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ આ પૂજામાં જોડાયા હતા.
આજે અક્ષય તૃતિયાના દિવસે જગન્નાથજી મંદિરમાં રથની પૂજા કરવાની વિધિ કરાઈ હતી. આજે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના રથનું પૂજન કરવામાં આવ્યુ હતું. આ વિધિ અત્યંત સાદગીથી અને ગણતરીના લોકોની હાજરીમાં કરાઈ હતી. ત્યાર બાદ જ વિધિગત રથયાત્રાની અન્ય વિધિ અને રથનું સમારકામ શરૂ થાય છે. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો આ ચંદન પૂજામાં હાજર રહે છે પરંતુ આ વર્ષે ભક્તોની ગેરહાજરી જોવા મળી હતી. ભક્તો વગર જ માત્ર ગણતરીની સંખ્યામાં લોકોની હાજરીમાં પૂજાવિધિ સંપન્ન કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, કોરોનાની મહામારીના કારણે ગત વર્ષે રથયાત્રા મંદિર પરિસરમાં જ નીકળી હતી. ત્યારે આ વર્ષે પણ જગન્નાથજીની રથયાત્રા નીકળશે કે કેમ એ અંગે ભક્તોમાં અસમંજસ છે. કોરોના મહામારીના હાલ બીજો વેવ છે. તેથી તેની અસર રથયાત્રા પહેલા યોજાતી જળયાત્રા પર પણ થાય તેવી શક્યતા છે. 24મી જૂનના રોજ જળયાત્રા યોજાનાર છે, તેથી તે સમયે પરિસ્થિતિ મુજબ નિર્ણય લેવાશે તેવુ હાલ મંદિરના ટ્રસ્ટીઓનું કહેવું છે.