નર્મદા જિલ્લામાં ટીબીના સક્રિય કેસ માટેનું વાહન રાજપીપળા ક્ષય કેન્દ્ર ખાતેથી ફ્લેગ ઓફ કરી ફરતું કરાયું
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ટીબી મુક્ત ભારત ના સપના ને સાકાર કરવા માટે આદિજાતી વિકાસ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્યના મંત્રી નીમિષાબેન સુથાર દ્વારા મોરવા હડફ ખાતેથી મંત્રાલય , ભારત સરકાર અને પિરામલ સ્વાસ્થ્ય સંસ્થા ના સંયુક્ત સાહસથી "ટીબી એક્ટિવ કેસ ફાઈન્ડિંગ"૧૦૦ દિવસ કેમ્પેઇંગનું લોન્ચિંગ કરવામાં આવ્યું ટીબી મુક્ત ભારત ૨૦૨૫ કાર્યક્રમ હેઠળ ગુજરાત રાજ્યના આદિવાસી પ્રભાવિત ૧૦ જિલ્લાઓ માં ચલાવવામાં આવી રહેલા વિશેષ અભિયાન હેઠળ, નર્મદા જિલ્લામાં પીરામલ સ્વાસ્થ્ય દ્વારા યુએસએસ એઇડના સહયોગથી "ટીબી એક્ટિવ કેસ ફાઈન્ડિંગ" અભિયાનને જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુશાબેન વસાવા, આરોગ્ય સમિતીના ચેરમેન નિલામ્બરીબેન પરમાર અને જીલ્લા ક્ષય અધિકારી ડૉ.ઝંખનાબેન વસાવાએ લીલી ઝંડી બતાવી વાહન ફરતું કર્યું હતું.
જીલ્લા ક્ષય અધિકારી ડૉ.ઝંખના વસાવાએ આ તબક્કે જણાવ્યું કે TB ACF કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લાના પાંચ તાલુકામાં વાહનમાં કેમ્યુનીટી મોબીલાઈઝર પેરામેડીકલ સ્ટાફની ટીમ દ્વારા ટીબી રોગ અંગે લોકોને જાગૃત કરવામાં આવશે તેમજ ટીબીના દર્દીઓની ઘરે ઘરે મુલાકાત કરી તેમના ઘરના તમામ સભ્યો અને ફળીયા માં શંકાસ્પદ દર્દીનું સ્ક્રીનીંગ કરવામાં આવશે તથા તેમનું કાઉન્સેલિંગ કર્યા પછી, તેમને ઘરેથી ગળફા એકત્રિત કરવા અને તેમને નજીકના પીએચસી, સીએસસીમાં મોકલી અને તેમને રેફરલ સેવા આપવામાં આવશે જેથી ટીબીના છુપાયેલા કેસોને ઓળખી શકાય અને સારવાર કરી શકાય, વહેલું નિદાન અને સંપુર્ણ સારવાર નું સૂત્ર પરિપૂર્ણ કરવામાં આવશે જેથી ટીબી મુક્ત ભારત અભિયાન તરફ આગળ કુચ કરીને નર્મદા જિલ્લાને ટીબી મુક્ત બનાવવાના ભાગરૂપે સ્ક્રીનીંગ કરવાના આ વાહનને નર્મદા જિલ્લામાં ફરતું કરવામાં આવ્યું છે.