અમદાવાદના નરોડા વિસ્તારમાં વ્યંઢળોએ લાકડીથી હુમલો કરતા મામલો બિચક્યો
અમદાવાદ: શહેરના નરોડા વિસ્તારમાં રહેતા બે વ્યંઢળો રીક્ષામાં સવાર થઈ દહેગામ તાલુકાના ચિસકારી ગામે જઈ રહ્યા હતા. ત્યારે દહેગામ નજીક રામેશ્વર ફાર્મ પાસે તેઓની રીક્ષા રોકી રીક્ષામાં સવાર થઈને આવેલા અમદાવાદના ચાર વ્યંઢળોએ લાકડીઓ વડે હૂમલો કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે. ફરિયાદ મુજબ અમદાવાદના વિસ્તારમાં તેઓના જજમાન વિસ્તારને લઈ આ ઝઘડો થયો હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.
આ અંગે મળતી માહિતી મુજબ નરોડા ખાતે રહેતા મોનાદે પાયલદે પાવૈયા અને રાખીદે પાયલદે પાવૈયા બન્ને દહેગામ તાલુકાના ચિસકારી ગામે રહેતા મંજીમાસીના મરણ પ્રસંગે જવા માટે રીક્ષા લઈને નિળકળ્યા હતા. રીક્ષા જ્યારે દહેગામ નજીક રામેશ્વર ફાર્મ પાસેથી પસાર થઈ રહી હતી, તે દરમિયાન એક રીક્ષા ઓવરટેક કરી આવી હતી અને તેમની રીક્ષાને ઉભી રખાવી હતી. રીક્ષામાંથી અમદાવાદ ગોમતીપુર ખાતે રહેતા વર્ષામાસી, ઉષામાસી, અનિતા અને માહીમાસી રીક્ષામાંથી હાથમાં લાકડીઓ લઈને ઉતર્યા હતા. આ દરમિયાન વર્ષામાસીએ કહેલ કે તમે અમારા જજમાન વિસ્તારમાં કેમ આવેલ છો તેમ કહી ગાળો બોલી હતી અને બાદમાં તમામે લાકડી વડ માર માર્યો હતો અને કાનમાં પહેરેલ રુ.૯પ૦૦ ની કિંમતની સોનાની બુટ્ટી ખેંચી નાખી લઈ લીધી હતી અને પાકીટ ઝુંટવી લીધું હતું. તથા રાખીદે પાયલદેનું પણ પાકિટ ઝુંટવી લીધું હતું બન્ને પાકીટમાં રુ.૮પ૦૦ રોકડ હતી. તેમજ જતાજતા આ વ્યંઢળએ કહેલ કે ફરીથી અમારા વિસ્તારમાં આવશો તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપી હતી. આ બનાવ અંગે દહેગામ પોલીસે ઉપરોક્ત ચારેય માસીઓ સામે ગુન્હો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.