સુરતમાં મિત્રતાના સંબંધના કારણે આપેલ 3.50 લાખના ચેક રિટર્નના કેસમાં આરોપીને અદાલતે બે વર્ષની સજાની સુનવણી કરી
સુરત: શહેરના ઉધના ગાયત્રીનગર ખાતે રહેતા ફરિયાદી પિયુષ જયંતિલાલ મોદી તથા આરોપી કિશોર બાબુ સાંગાણી (રે.નિજાનંદ પેલેસ, એ.કે.રોડ,વરાછા) રીંગરોડ સ્થિત મોનાર્થ નેટવર્થ કેપીટલ નામની શેરબજારની ઓફિસમાં શેરની લે-વેચનું કામકાજ કરતાં હોવાથી એકબીજાના સંપર્કમાં હતા.જે ધંધાકીય મિત્રતાના સંબંધના નાતે વર્ષ-2016 માં આરોપી કિશોર સાંગાણીને ધંધાકીય હેતુ માટે 3.50 લાખની જરૃર પડતાં ફરિયાદીને નિયત મુદતમાં પરત કરવાની શરતે હાથ ઉછીના નાણાં લીધા હતા.
જે લેણાં પૈકી રૃ.13 હજાર ફરિયાદીને રોકડા આપ્યા બાદ આરોપીએ રૃ.3.37 લાખના ચેક લખી આપ્યા હતા.જેને ફરિયાદીએ બેંકમાં વટાવવા નાખતા આરોપીના ખાતામાં અપુરતા ભંડોળના શેરા સાથે ચેક રીટર્ન થયા હતા.જેથી ફરિયાદીએ જીજ્ઞોશ ભરુચાવાલા મારફતે આપેલી નોટીસનો સંતોષકારક જવાબ ન મળતાં આરોપી વિરુધ્ધ કોર્ટ ફરિયાદ નોંધાવી હતી.છેલ્લાં ચારેક વર્ષથી ચાલતી કેસ કાર્યવાહી દરમિયાન આજે અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.જેથી કોર્ટે રેકર્ડ પરના પુરાવા તથા ફરિયાદપક્ષે આરોપીના નકારાયેલા ચેક પોતાના કાયદેસરના લેણાં પેટે હોવાનું નિઃશકપણે પુરવાર કરતા આરોપી કિશોર સાંગાણીને ઉપરોક્ત કેદ તથા દંડની સજા ફટકારતો હુકમ કર્યો હતો.