ગુજરાત
News of Wednesday, 14th July 2021

પ્રદેશ કોંગ્રેસમાં ફેરફારના સંકેત, નેતાઓને દિલ્હીનું તેડું

ગુજરાત કોંગ્રેસની નેતાગીરીને લઈને સળવળાટ : એક જૂથ જલ્દી નિમણૂકોની માગ કરે છે, આ જૂથે ૩-૩ સભ્યોની પ્રદેશ અધ્યક્ષ-વિપક્ષ નેતાની પેનલો તૈયાર કરી

ગાંધીનગર, તા.૧૪ : દિલ્હી કોંગ્રેસમાં ફરીથી ગુજરાત કોંગ્રેસની નેતાગીરીને લઈને સળવળાટ શરૂ થયો છે. પ્રદેશ કોંગ્રેસના માળખામાં ફેરફારની શક્યતા વચ્ચે તુષાર ચૌધરી સહિત અનેક નેતાઓને દિલ્હી બોલાવાયા છે.

થોડા દિવસ પહેલા નરેશ રાવલના નિવાસ સ્થાને કોંગ્રેસના એક જૂથે બેઠક યોજી હતી અને હાઈ કમાન્ડને મળવા માટે સમય માંગ્યો હતો. ત્યારે હવે એ બેઠકમાં હાજર રહેલા નેતાઓને દિલ્હી બોલાવાયા છે.

કોંગ્રેસના મુખિયા સોનિયા ગાંધીનો સમય ન મળતા આજે કોંગ્રેસના નેતાઓ કે. સી. વેણુગોપાલ સાથે તેઓ બેઠક કરવાના છે. જેમાં નરેશ રાવલ, શૈલેષ પરમાર, હિંમતસિંહ પટેલ, સાગર રાયકા, જગદીશ ઠાકોર, હિમાંશુ વ્યાસ, સી જે ચાવડા, બળદેવજી ઠાકોર, તુષાર ચૌધરી અને ગૌરવ પંડ્યા સહિતના નેતાઓ સામેલ થશે. ગુજરાત કોંગ્રેસનું આ જૂથ જલ્દી નિમણુંકો કરવાની માંગ કરી રહ્યું છે. આ જૂથે ૩-૩ સભ્યોની પ્રદેશ અધ્યક્ષ અને નેતા વિપક્ષની પેનલો પણ તૈયાર કરી લીધી છે.

અનેક રાજ્યોમા કોંગ્રેસમાં આંતરિક કલહ ચાલી રહ્યો છે. જેને સોલ્વ કરવામાં કોંગ્રેસ હાઈકમાન કામે લાગ્યું છે. પરંતુ દિલ્હીના કાન સુધી ગુજરાતનો અવાજ પહોંચતો નથી એવુ લાગે છે. ગુજરાત કોંગ્રેસમાં ત્રણ મોટી જગ્યાઓ ખાલી છે. રાજ્યમાં આગામી સમયમાં વિધાનસભા ચૂંટણી થવાની છે, તેને માત્ર દોઢ વર્ષ જ બાકી છે. બે દાયકાથી ગુજરાતમાં ભાજપની સત્તા છે. અત્યાર સુધી ગુજરાતમાં બે ધ્રુવીય રાજનીતિ હતી. એક ભાજપ અને બીજી કોંગ્રેસ. ત્યારે હવે તેમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ છે. આવામાં ગુજરાત કોંગ્રેસ દિશાહીન છે અને લિડર વગરની છે.

હાલ ગુજરાત કોંગ્રેસમાં ત્રણ જગ્યા ખાલી છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ, વિધાનસભામાં વિપક્ષના નેતા અને ગુજરાત કોંગ્રેસના પ્રભારીનું પદ. ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ આ વાતને લઈને પણ ચિંતામાં છે. ત્યારે આમ આદમી પાર્ટીની એન્ટ્રી કોંગ્રેસે નબળી ન પાડે તે માટે મજબૂત લિડરની પક્ષને હવે જરૂર છે.

(8:35 pm IST)