ગુજરાત
News of Sunday, 14th August 2022

ડભોઇ રોડ પર સોમા તળાવ બ્રિજ નીચે 10થી 12 લોકોના ટોળાએ એક યુવાનને હથિયારોના ઘા મારીને ઢીમ ઢાળ્યુ

યુવકના છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારથી 3 ઘા, કપાળમાં 1 ઊંડો ઘા અને પેટના ભાગે 2 ઘા મારવામાં આવ્યા હતાઃ ઘા ખૂબ જ ઊંડા હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે.

વડોદરા: શહેરમાં હત્યા અને મારામારીના કિસ્સાઓ વધી રહ્યા હોય તેમ સામે આવી રહ્યા છે. ડભોઇ રોડ પર સોમા તળાવ બ્રિજ નીચે 10થી 12 લોકોના ટોળાએ એક યુવાનને હથિયારોના ઘા મારીને રહેંસી નાંખ્યો હતો. સોમા તળાવ બ્રિજ નીચે 23 વર્ષના નિતેશ રાજપૂત નામના યુવાનને 10થી 12 લોકોના ટોળાએ ઘેરીને ઘાતકી હત્યા કરી નાંખી છે. બનાવને પગલે હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, 23 વર્ષના મૃતકનું નામ નિતેશ સંજયકુમાર રાજપૂત છે. જે વિજય નગર ઝૂંપડપટ્ટી, રેલવે લાઈન પાછળ, દંતેશ્વરનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. વાડી પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. મૃતકના ભાઈ હિતેશ રાજપૂતની ફરિયાદના આધારે વાડી પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે મૃતક નિતેશ રાજપૂતના ભાઈએ પોલીસને જણાવ્યુ હતું કે, દંતેશ્વર વિસ્તારમાં દાઢી નામનો એક શખ્સ છે, જેની પાસે ત્રણ-ચાર છોકરા છે. દાઢીએ જ આખું કાવતરું કરીને હત્યા કરી હોવાની અમને શંકા છે. મૃતક નિતેશ રાજપૂતના પરિવારજનોએ જણાવ્યું હતું કે, હુમલાખોરો 10થી 12 જણા હતા. હુમલો કરનારાઓની પ્રવૃત્તિ ચોરી કરવાની છે.

દરેક હુમલાખોરો પાસે કોઈને કોઈ હથિયાર હતું. કોઈની પાસે ચાકૂ તો કોઈની પાસે ધારિયું તો કોઇની પાસે દાતરડું હતું. નિતેશને મારી નાખવા બધાં હથિયારો સાથે આવ્યાં હતાં. નિતેશ એકલો હતો એટલે હુમલાખોરોનો મુકાબલો કરી શક્યો ન હતો.

મૃતકને સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો ત્યારે તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. અહીંના તબીબોના જણાવ્યા પ્રમાણે, યુવકના છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારથી 3 ઘા, કપાળમાં 1 ઊંડો ઘા અને પેટના ભાગે 2 ઘા મારવામાં આવ્યા હતા. ઘા ખૂબ જ ઊંડા હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે.

(3:02 pm IST)