અમદાવાદમાં આવતી ટ્રેનોના 1453 મુસાફરોના કોરોના ટેસ્ટિંગ કરાયા: 2 લોકો પોઝિટિવ મળ્યા
રાજધાની તથા હાવરા એક્સપ્રેસમાંથી એક એક કેસ મળ્યાં:ગોરખપુર તથા મુઝફરપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી એકપણ કેસ નહીં
અમદાવાદ: અમદાવાદ આવેલી જુદી જુદી ટ્રેનોના મુસાફરોના આજે હાથ ધરાયેલી ટેસ્ટિંગની કામગીરીમાં માત્ર 2 જ કોરોના પોઝિટિવ કેસો મળ્યા હતા ચાર ટ્રેનોમાં આવેલા 1453 મુસાફરોમાંથી માત્ર બે જ કેસો મળતાં કોરોનાનો પ્રભાવ ઘટયો હોવાનું સ્પષ્ટ નજરે પડે છે. તેમાં પણ રાજધાની અને હાવરા એક્સપ્રેસમાંથી એક એક જ કેસ મળી આવ્યા હતા. જયારે મુઝફરપુર એક્સપ્રેસ અને ગોરખપુર એક્સપ્રેસ ટ્રેનમાં એક પણ કેસ મળી આવ્યો ન હતો.
1453 મુસાફરોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમાંથી કુલ 2 કેસો મળી આવ્યા હતા. આ 2 કેસો પૈકીના 1 દર્દીને સાબરમતી રેલવે સ્ટેશન ખાતે ઊભા કરવામાં આવેલા કોવીડ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયારે 1 દર્દીને હોમ કવોરન્ટાઇન કરવામાં આવ્યા છે.
અમદાવાદ શહેરમાં નોવેલ કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્રારા વિવિધ પગલાંઓ લેવામાં આવ્યા છે. જેના ભાગરૂપે અમદાવાદ શહેરના સાતેય ઝોનમાં એક ખાસ ઝુંબેશ હેઠળ ટેસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ટેસ્ટિંગ દરમિયાન પરપ્રાંતિય મજુરો તથા કામદારોમાં કોરોના પોઝિટિવ કેસો મોટા પ્રમાણમાં મળી આવ્યા હતા.
શહેરના જુદા જુદા વિસ્તારોમાં વસવાટ કરતાં મજૂરો/કામદારોને શોધવામાં ઘણો સમય વ્યતીત થતો હતો. બીજી તરફ કોરોના પોઝિટિવ ધરાવતા મજૂરો તથા કામદારો અન્ય સાથીદારોમાં સંક્રમણ ઊભું કરે તેવી શકયતા દેખાઇ રહી હતી. જેથી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને અમદાવાદમાં પ્રવેશે તે પહેલાં જ પરપ્રાંતિય મજૂરો તથા કામદારોના ટેસ્ટ કરવાનું નક્કી કર્યું હતું. જેના ભાગરૂપે જ અમદાવાદ રેલવે સ્ટેશન પર ટેસ્ટિંગની કામગીરી હાથ ધરી હતી.
આજે કાલુપુર રેલ્વે સ્ટેશન પર આવેલી અમદાવાદ દિલ્હી વચ્ચેની રાજધાની એક્સપ્રેસના 474 મુસાફરોનું ટેસ્ટિંગ થયું હતું. તેમાંથી 1 કોરોના પોઝિટિવ કેસ મળ્યો હતો. તે જ રીતે હાવડા એક્સપ્રેસ ટ્રેન મારફતે અમદાવાદ આવેલા 513 મુસાફરોમાંથી 1 પોઝિટિવ કેસ મળ્યો હતો. તો મુઝફરપુર એક્સપ્રેસ ટ્રેન મારફતે આવેલા 277 અને ગોરખપુર એક્સપ્રેસ ટ્રેન મારફતે આવેલા 189 પ્રવાસીઓની ચકાસણી કરી હતી. તેમાં એક પણ કોરોના પોઝિટિવ કેસો મળી આવ્યા ન હતા.
આમ સરવાળે આજે મંગળવારના રોજ કુલ 1453 મુસાફરોનું દિવસ દરમિયાન કોરોના ટેસ્ટિંગ કરાવામાં આવ્યું હતું. જેમાં 2 મુસાફરો કોરોના પોઝિટિવ નિકળ્યા હતા. આગામી સમયમાં પણ મોટાપાયા પર વિવિધ સ્થળોએ ટેસ્ટિંગની કામગીરી ચાલુ રહેશે તેવું કોર્પોરેશને જાહેર કર્યું છે.