પાસપોર્ટ કાયદો તોડવાના સૌથી વધુ કેસ ગુજરાતમાં: બીજા નંબરે આસામ, ત્રીજા સ્થાને મહારાષ્ટ્ર
વિદેશ જવાના મોહમાં કાયદાનું કરાય છે ઉલ્લંઘન
અમદાવાદ તા. ૧૪: વિદેશ જવાનો મોહ અને ગેરકાયદેસર રીતે કમાણી કરવા માટે પાસપોર્ટ કાયદાના ભંગના સૌથી વધારે કેસો ગુજરાતમાં જાહેર થયા છે. આ બાબતે આસામ બીજા અને મહારાષ્ટ્ર ત્રીજા નંબરે છે. રાષ્ટ્રીય ગુન્હા રેકોર્ડ બ્યુરો (એનસીઆરબી)ના પ્રિઝન સ્ટેટેટીકસ ઇન્ડીયા ર૦૧૯ના રિપોર્ટમાં આ વાત જાહેર થઇ છે.
આ રિપોર્ટ અનુસાર, ર૦૧૯માં દેશમાં પાસપોર્ટ કાયદાના ભંગના આરોપમાં ૧૭૪ આરોપીઓ પકડાયા હતા. તેમાં સૌથી વધારે એટલે કે ૩૬ આરોપીઓ ગુજરાતની જેલોમાં બંધ છે. તો ૩૪ આરોપી આસામ અને ૩૦ આરોપી મહારાષ્ટ્રની જેલોમાં છે. ત્રિપુરા ર૯ આરોપીઓ સાથે ચોથા અને કેરળ ૧૦ આરોપીઓ સાથે પાંચમા નંબરે છે.
પંજાબમાં ૬ આરોપીઓ અને મધ્ય પ્રદેશમાં ૭ આરોપીઓ છે. ર૦૧૮ ની સરખામણીમાં આવા કેસોમાં ઘટાડો થયો છે પણ ગુજરાત, આસામ અને ત્રિપુરામાં આવા કેસો વધ્યા છે. ર૦૧૮માં દેશભરની જેલોમાં આ કાયદાનો ભંગ કરવાના આરોપમાં ર૬૯ લોકો જેલમાં હતા. ગુજરાતની જેલોમાં આવા રર આરોપીઓ હતા જે ર૦૧૯માં વધીને ૩૬ થયા હતા. ર૦૧૮માં આસામમાં ૧૭, ત્રિપુરામાં ૪ આરોપીઓ હતા. ર૦૧૮માં મહારાષ્ટ્ર ૬૦ આરોપીઓ સાથે પહેલા નંબર પર અને ૩પ આરોપીઓ સાથે કેરળ બીજા નંબર પર હતું.