ગુજરાત
News of Saturday, 14th November 2020

દાહોદ લૂંટ પ્રકરણમાં મોટો ખુલાસોઃ પત્નીએ જ બે બાળકો સાથે મળી રચ્યું હતું લૂંટનું તરકટ

દાગીના અને રૂપિયા પ્રેમીને આપી દીધા હોવાથી પતિના પ્રશ્નોથી બચવા માટે ષડયંત્ર રચ્યું

દાહોદઃ શહેરના ગોવિંદ નગર વિસ્તારમાં 9 તારીખે સાંજના સમયે બાળકોને બાનમાં લઇને ઘરમાંથી 6.22 લાખ રૂપિયાની લુંટ થઇ હોવાની ફરિયાદ નોંધાઇ હતી. આ પ્રકરણમાં પોલીસની તપાસમાં ઘર માલિક મહિલાએ પોતાના બે બાળકોને ભેળવીને આ લુંટનું તરકટ રચ્યુ હોવાનું ખુલતાં ખળભળાટ મચી ગયો હતો. તે સાંજે ઘરમાં કોઇ આવ્યુ જ ન હતું અને દાગીના અને રૂપિયા પ્રેમીને આપી દીધા હોવાથી પતિના પ્રશ્નોથી બચવા માટે આ ષડયંત્ર રચાયુ હતું.

 

  આ અંગે મળતી વિગત મુજબ દાહોદ શહેરના ગોવિંદ નગર વિસ્તારમાં શ્રીનગર સોસાયટીમાં ભાડેથી રહેતાં અને સ્ટેશન માસ્તર તરીકેની ફરજ બજાવતા રાકેશકુમારસિંહ ઠાકુર અને તેમની પત્ની નીલુસિંહ 9મી તારીખની સાંજે કેક સહિતના સામાનની ખરીદી માટે બજારમાં ગયા હતાં. તે વખતે ઘરમાં હાજર 9 વર્ષિય પૂત્ર રોહનસિંહ અને 11 વર્ષિય પૂત્રી નીકીતાસિંહને બાનમાં લઇને ચાર લુટારુ 50 હજાર રૂપિયા રોકડા અને દાગીના મળીને 6.22 લાખી લુંટ કરી ગયા હોવાનું પ્રકાશમાં આવ્યુ હતું.

 પોલીસે ગુનો દાખલ કરીને તલસ્પર્શી તપાસ કરતાં જાણવા મળ્યુ હતું કે, નીલુસિંહને બીટ્ટુ ઉર્ફે દવેશ મહેન્દ્રસિંહ નાયક સાથે પ્રેમ સબંધ હતો. પ્રેમમાં પડેલી નીલુસિંહે બીટ્ટુને કોઇ કારણોસર ગત ઓક્ટોબર માસમાં જ તમામ દાગીના અને ઘટના ઉપજાવી તે દિવસે અઢી લાખ રૂપિયા આપ્યા હતાં.જેમાં નીલુસિંહે પ્રેમી બીટ્ટુને સોનાનો સેટ, ટીકી, નથીયા, જુમકી, સાત જોડી ઓરિંગ, બે જોડ બુટ્ટા, દસ સોનાની વીટી, સોનાની પાંચ બંગડી, બે પાટલા, એક સોનાનો હાર, બે લોકીટ, મંગળસૂત્ર, નાકની પાંચ ચુની, કાનની વાળી. છોકરીની ચાંદીની આઠ પાયલ, વીછુડી, ચાંદીની વાટકી, કંદોરા તથા દસ સોનાની વીટી અને અઢી લાખ રૂપિયા આપી દીધા હતાં. પણ દિવાળી બાદ છઠ પૂજા માટે બિહાર જવાનું હોવાથી પતિને કહેતા તેમને તમામ ઘટનાની જાણ થશે તો તેનો ભાંડો ફૂટી જશે તે માટે પતિને ગેરમાર્ગે દોરવા માટે નીલુસિંહે પોતાના બાળકોનો સાથ લીધો હતો અને લુંટનું તરકટ રચી નાખ્યુ હતું.
 આ બાબત સામે આવતાં શહેર સહિત જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો. પણ પોલીસે તેની પૂછપરછમાં તમામ વાતો સામે આવી હાલ આ મામલે પોલીસને ગેરમાર્ગે દોરવા બદલ નીલુસિંહ સામે કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરાઇ છે. નીલુસિંહને બીટ્ટુને બ્લેકમેઇલ કરતો હતો માટે સુખી સંસાર ન ભાંગે તે માટે ષડયંત્ર રચ્યુ કે પછી બીટ્ટુ ઉપર મોહિત હોવાથી નીલુસિંહે તેને ખુશીથી જ બધુ આપી દીધુ હતુ, તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.

(10:43 am IST)