મેમનગર સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે ઓન લાઇન ચોપડા પૂજન- લક્ષ્મીપૂજન અને અન્નકૂટોત્સવ યોજાયા
અમદાવાદ : દિવાળીના સપરમા દિવસે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગર ખાતે પૂ.શા.માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં વહેલી સવારે શુભ ચોઘડીએ, શાસ્ત્રોકત વિધિ સાથે, ચોપડા પૂજન તથા લક્ષ્મીપૂજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ ઓન લાઇન પોતાના ચોપડાનું કર્યું હતું ત્યારબાદ ઠાકોરજીને ૧૦૮ વાનગીઓનો અન્નકૂટ ધરાવી, પૂ. શા.માધવપ્રિયદાસજી સ્વામીએ ઠાકોરજીની આરતિ ઉતારી અન્નકૂટના દર્શન ખુલ્લા મૂકયા હતા..
આ પ્રસંગે શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી દિપાવલીના પુનિત પર્વે શુભ સંદેશ પાઠવતા જણવ્યું હતું કે વિક્રમ સંવત્ ૨૦૭૭ નું નૂતન વર્ષનું પ્રભાત આપ સૌના માટે સુખ,શાંતિ અને નિરામય બની રહે એવી શ્રી હરિના ચરણમાં પ્રાર્થના. દિપાવલીના દિવસો છે આખી દુનિયામાં કોવિડ-૧૯ ની ભયંકર મહામારીનો અંધકાર છવાયેલો છે. એનાથી હતાશ કે નિરાશ થવાની જરુર નથી..
પરમાત્માની કૃપાથી આ દ્યોર અંધારી રાત અવશ્ય પસાર થશે.સુખભર્યું નવલું પ્રભાત પ્રગટશે.એવા વિશ્વાસ રુપી આશાના દિવડાને પ્રજવલિત રાખી આ અંધકારની સામે લડત લેતા રહિએ. ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આવા રોગાદિક આપત્કાળ પ્રસંગે પોતાની અને પારકાની રક્ષા કરવાનું કહેલ છે. એ આજ્ઞાને અનુસરીને આપણે સાવચેતી સાથે પોતાના તથા પારકાના જીવનદીપને સુરક્ષિત રાખીએ.
સેવાઓના વિશેષ દીવડાંઓને પ્રગટાવી મહામારીગ્રસ્ત લોકોના જીવનમાં ઉજાસ પાથરીએ.