ગુજરાત
News of Saturday, 14th November 2020

ગાઈલાઈન્સનું ચુસ્ત પાલન સાથે શાળા-કોલેજો શરૂ થશે

રાજ્યમાં તબક્કાવાર શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવશે : શરૂ થનારા શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે સરકારે કમર કસી

અમદાવાદ, તા.૧૪ : રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણના લીધે ઉદભવેલી પરિસ્થિતીના કારણે એક બાજુ આખી દુનિયામાં લોકોના કામધંધાને અસર થઈ હતી. બીજી તરફ માર્ચ મહિનાથી રાજ્યની શાળાઓ અને કોલેજો પણ બંધ છે. બાળકોના અભ્યાસને લઈને વાલીઓથી લઈ સરકાર પણ ચિંતિત છે. ત્યારે ૧૧ નવેમ્બરે ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક મળી હતી. જેમાં દિવાળી બાદ રાજ્યમાં શાળાઓ ચાલુ કરવા મુદ્દે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ૨૩ નવેમ્બરથી શાળાઓ ખુલશે. ધોરણ૯થી ૧૨ના વર્ગો એસઓપી પ્રમાણે શરૂ કરાશે. કોલેજોમાં પણ ૨૩ નવેમ્બરથી શિક્ષણકાર્ય શરૂ થવાની જાહેરાત કરાઈ હતી. આમ તબક્કાવાર શિક્ષણકાર્ય ગુજરાતમાં શરૂ થશે. ૨૩ નવેમ્બરથી ગુજરાતમાં યુનિવર્સિટી અને કોલેજો પુનઃ શરૂ કરવા આદેશ આપી દેવામાં આવ્યા છે. યુનિવર્સિટી અને કોલેજો શરૂ કરવા યુજીસીએ જાહેર કરાયેલા પરિપત્રને લઈને ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવી છે. રાજ્યના શિક્ષણ વિભાગ યુનિવર્સિટી કે કોલેજોના શૈક્ષણિક-બિન શૈક્ષણિક સ્ટાફ તથા વિદ્યાર્થીઓને ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

જે મુજબ કોલેજના લેક્ચરમાં હાજરી આપવી વિદ્યાર્થી માટે સ્વેચ્છિક રહેશે તથા તે માટે સંબંધિત સંસ્થાએ વિદ્યાર્થી અથવા વાલી પાસેથી સંમતિપત્ર મેળવવાનું રહેશે. જે વિદ્યાર્થીઓ ક્લાસમાં જોડાઈ શકે તેઓ માટે ઓનલાઈન અભ્યાસની વ્યવસ્થા કરવાની રહેશે. ઉપરાંત યુજીસી દ્વારા ૫મી નવેમ્બરે બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈન્સ તેમાં ઉમેરાઈ છે. પહેલા તબક્કામાં પી.જી, પી.એચ.ડી. એમ.ફિલ વગેરે અભ્યાસક્રમો, મેડિકલ/પેરામેડિકલના તમામ તથા અન્ય સ્નાતક અભ્યાસક્રમના માત્ર છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓને ક્લાસમાં ભણાવવામાં આવશે. અન્ય વર્ગોમાં ઓનલાઈન શિક્ષણ ચાલુ રહેશે.

વિદ્યાર્થીઓની સંખ્યા અથવા વિષયની જરૂરિયાતને જોતા ક્લાસની સંખ્યા મુજબ લેક્ચર ગોઠવવાના રહેષે. જેમાં યુજીસીની ગાઈડલાઈન મુજબ, કોલેજોએ ૫૦-૫૦ ટકા વિદ્યાર્થીઓના બે વર્ગો બોલાવવાના રહેશે અથવા /૩ના ત્રણ વર્ગો ગોઠવવાના રહેશે. જો ક્લાસની જરૂર હોય તો વિદ્યાર્થીઓને સતત ત્રણ દિવસ બોલાવવામાં આવે. પછીના દિવસોમાં અન્ય વિદ્યાર્થીઓને બોલાવવામાં આવે.

હોસ્ટેલની સુવિધા જો આપવામાં આવે તો હાલમાં એક રૂમમાં એક વિદ્યાર્થીને સ્થાન આપવામાં આવશે. ઉપરાંત કોલેજ/યુનિવર્સિટીમાં ફેસ માસ્ક, સેનિટાઈઝેશનનું ધ્યાન રાખવામાં આવશે. વર્ગોનું સમય-સમય પર સેનિટાઈઝેશન કરવામાં આવશે તથા લક્ષણો ધરાવતા વિદ્યાર્થીઓ કેમ્પસમાં આવે તેનું પણ ધ્યાન રાખવામાં આવશે. ગાઈડલાઈન શિક્ષણ વિભાગ હેઠળની તમામ સરકારી/ખાનગી યુનિવર્સિટીઓ તથા સરકારી અને ખાનગી કોલેજોમાં લાગુ રહેશે.

(8:42 pm IST)