નિવૃતિના ૧૪ દિવસ પહેલા જ મુળ ગુજરાત કેડરના અરૂણકુમાર શર્માને અચાનક ગુજરાત મુકાતા અનેકવિધ અનુમાનો અને અટકળો
અમિતભાઈ શાહના વિશ્વાસુ એવા એ.કે. શર્માને કેન્દ્રને બદલે ગુજરાતમાં મહત્વની જવાબદારી સોંપવાનો કેન્દ્રીય ગૃહમંત્રીની તાજેતરની મુલાકાત સંદર્ભે નિર્ણય થયાની ચર્ચા હોટટોપીક
રાજકોટ, તા. ૧૫ : મુળ ગુજરાત કેડરના બીજેપી કક્ષાના અને હાલ સેન્ટ્રલ ડેપ્યુટેશનમાં સીઆરપીએફમાં ફરજ બજાવતા શ્રી અરૂણકુમાર શર્માને તેમની નિવૃતિના ૧૪ દિવસ બાકી છે ત્યારે તેમની મુળ કેડર અર્થાત્ ગુજરાતમાં પરત મોકલો હુકમ થવા સાથે શ્રી અરૂણકુમાર શર્મા અત્યારે ગુજરાત આવી પહોંચતા આ હુકમ સંદર્ભે અનેકવિધ અનુમાનો અને અટકળો જાગી છે.
૧૯૮૭ બેચના અરૂણકુમાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના ખૂબ જ વિશ્વાસુ અધિકારી તરીકે રાજય પોલીસ તંત્રમાં જાણીતા છે. અરૂણ કુમાર શર્માને ગુજરાતમાંથી પ્રથમ પોસ્ટીંગ કેન્દ્રમાં સીબીઆઈમાં થયેલ. એ સમયે ખૂબ જ મહત્વની જવાબદારી સુપ્રત કરવામાં આવી હતી.
રાજકોટ શહેરમાં ત્રણ વખત નાયબ પોલીસ કમિશ્નર દરજ્જે ફરજ બજાવી ચૂકેલા આ અધિકારીએ નિવૃતિના ૧૫ દિવસ પહેલા જ ગુજરાત મોકલાતા તેઓને ખૂબ મહત્વની જવાબદારી સુપ્રત થનાર હોવાનું ચર્ચાય રહ્યુ છે. યોગાનુયોગ અમિતભાઈ શાહ પણ બે દિવસ ગુજરાતમાં હતા તેવા સમયે જ શ્રી અરૂણકુમાર શર્માને સેન્ટ્રલમાં વિજીલન્સ કમિશ્નરના સ્થાનને બદલે ગુજરાતમાં મહત્વની જવાબદારી સુપ્રત કરતા આ હુકમથી રાજય પોલીસ તંત્રમાં આ ઘટના હોટ ટોપીક બની છે.