ગુજરાત
News of Friday, 15th January 2021

વડોદરામાં વડસર બ્રિજ ઉતરતા સમયે દાહોદના મજુરના ગળામાં પતંગની દોરી ફસાઇ જતા તરફડીયા ખાઇને મોત નીપજતા અરેરાટી

વડોદરા: ઉત્તરાયણમાં પતંગની દોરીથી થતા મોતના કિસ્સા વધી જાય છે. આ વર્ષે ઉત્તરાયણની ફિક્કી ઉજવણીમાં પણ દોરીથી મોત થયાના કિસ્સા ઘટ્યા નથી. છેલ્લાં ચાર દિવસમાં પતંગની દોરીથી અનેક લોકોના મોત થયા છે, તો કેટલાક ઘાયલ થયા છે. ત્યારે આજે સવારે વડોદરાના વડસર બ્રિજ ઉતરતા સમયે પતંગના દોરાથી દાહોદના મજૂરનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. પતંગની દોરીથી ઈજાગ્રસ્ત થયા બાદ શખ્સ રોડ પર તરફડિયા મારતો હતો. આખરે તેણે દમ તોડ્યો હતો.

માંડ પરિવારનું પેટિળુ રળતા યુવકનું મોત

મૂળ દાહોદનો રહેવાસી બાબુભાઈ બારિયા નામનો યુવક ઘર બાંધવાનું કામ કરે છે. મજૂરી કામ કરતો આ યુવક પત્ની અને ભાઈ સાથે રહેતો હતો. તે આજે સવારે વડોદરાની એક કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરવા નીકળ્યો હતો. આજે વહેલી સવારે બાબુભાઈ બારીયા પોતાની બાઈક પર વડસરથી પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો. ત્યારે અચાનક પતંગની દોરી તેના ગળામાં ફસાઈ હતી. ત્યારે તે બાઈક સાથે નીચે ફસડાઈ પડ્યો હતો. જોકે, ઘટના બાદ 108 એમ્બ્યુલન્સને ફોન કરાયો હતો. જોકે તે પહેલા યુવકે રસ્તા પર જ દમ તોડ્યો હતો. માંજલપુર પોલીસે યુવકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, વડોદરામાં ઉત્તરાયણના દિવસે 3 લોકોના મોત નિપજ્યા છે. ધારદાર દોરી વાગવાથી અને ધાબા પરથી પડી જવાથી કુલ 3 લોકોના મોત થયા છે. આ ઉપરાંત દોરી વાગવાથી 40 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. દોરીથી ઈજા પહોંચેલા લોકોને સારવાર માટે લઈ જવાયા હતા. તો આ સાથે 245 પક્ષીઓેને પણ દોરીથી ઈજા પહોંચી છે. જ્યારે અનેક પક્ષીઓના મોત થયા છે.

વડોદરામાં ઉત્તરાયણના દિવસે 245 પક્ષીઓ ઘાયલ થયા હોવાના આંકડા સામે આવ્યા છે. જેમાં 193 કબૂતર ઘાયલ થયા છે. તો 32 કબૂતરોના મોત થયા છે. આ ઉપરાંત 4 સમડી, કાગડા, પોપટ, ઘુવડ અને મોર પણ ઘાયલ થયા છે. તો 3 કાકણસાર ઘાયલ થયા છે અને 1 નું મોત થયું છે. આ ઉપરાંત એક કલકલીયો, રાજહંસ, હોલો, બતક નકટો, ટીટોડી, ધુવડ, અને 2 બગલા ઘાયલ થયા છે. વડોદરા વન વિભાગની કચેરીમાં તમામને સારવાર અપાઈ રહી છે.

(5:16 pm IST)