ગુજરાત
News of Saturday, 15th January 2022

ગુજરાતના આ જિલ્લાના ગામોમાં ઉત્તરાયણે નથી ઊડતી પતંગ : આકાશ રહે છે ચોખ્ખું !

જો અહીં પતંગ ઉડાડવામાં આવે તો પક્ષી માઈગ્રેટ થતા હોય ઘાયલ થઈ શકે: અહીં જીવદયાને અપાઈ છે પ્રાથમિકતા

અમદાવાદ : રાજ્યભરમાં આજે ઉત્તરાયણે કાપ્યો છેનો નાદ ગુંજી ઉઠશે અને આ ગુંજ પક્ષીઓ માટે માતમ બની જાય છે. પરંતુ રાજ્યમાં એક એવો જિલ્લો અને તેના કેટલાક એવા શહેર છે જયાં પક્ષીઓ રાહતનો શ્વાસ લે છે.ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર તેમજ સુત્રાપાડા શહેરમાં આજે અહીંનું આસમાન ચોખ્ખું છે.

અહીં કાપ્યો છે નો નાદ નહીં પણ આસમાનમાં પક્ષીઓનો કલરવ સંભળાય છે. કારણ કે, આજે અહીં કોઈ પતંગ ચગાવતું નથી. અહીં ઉત્તરાયણ ધામધૂમ પૂર્વક મનાવાય છે. પરંતુ પતંગ નથી ઉડાડવામાં આવતા કારણ કે, અહીં ઉત્તરાયણમાં પતંગ ચગાવવા માફક પવન નથી હોતો. સાથે જ પવન ન હોવાના કારણે પતંગ ચગતી નથી એવું પણ નથી કે, અહીં પતંગ ચગાવાય છે અને તે પણ એક બે દિવસ નહીં આખે આખા ત્રીસ દિવસ ઉજવાય છે.

અહીં એક મહિનો આકાશમાં કાપ્યો છે નો નાદ ગુંજે છે. ગીર સોમનાથનાં કોડીનારમાં ભાદરવો આખો મહિનો યુવાનો પતંગ ચગાવવાની મજા માણે છે. ભાદરવા મહિનામાં પવન પતંગ ચગાવવા માટે અનુકૂળ હોઈ છે. જેના કારણે આખો મહિનો પતંગ ચગાવાય છે. જે પણ સાંજનાં 4 થી 6 કલાક સુધી જેના કારણે પક્ષીઓ માટે પતંગની મજા સજા ન બને. ગીર સોમનાથનાં સુત્રાપાડા, તાલાલા, કોડીનાર અને ગીરગઢડા વિસ્તારમાં ઉત્તરાયણનાં દિવસે પતંગ ચગાવતા નથી. આ તાલુકો દરિયાઈ પટ્ટી પર આવેલો છે. અહીં પવનની દિશા ઊંઘી રહે છે. એટલે કે, પવન પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે અને એ પણ મંદ ગતિએ જેથી કરીને પતંગ ઉડતા નથી.

જોકે, એવું પણ નથી કે અહીં માત્ર ભાદરવા માસ દરમિયાન જ પતંગ ઉડે છે. ભાદરવા માસ દરમિયાન વહેતા નૈઋત્યનાં મૌસમી પવનો પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે. આથી પતંગ સારી રીતે ઉડી શકે છે. તો આ વિસ્તાર લીલી નાઘેર તરીકે પ્રચલિત છે અને રાજાશાહી એટલે કે, ગાયકવાડ સમયથી જ અહીં ઉત્તરાયણ દરમિયાન પતંગ ચગાવવાની પ્રથા જ નથી. કારણ કે. ભાદરવામાં અનાજ પાકી ગયુ હોય પક્ષીઓને ચન માટે ઉંચી ઉડાન ભરવી પડતી નથી અને ચણ નીચે જમીન પર જ સહેલાઈથી મળી રહે છે. જ્યારે ઉત્તરાયણ દરમ્યાન શિયાળામાં હજુ પાકો ખેતરમાં જ હોય છે. આ સમય દરમિયાન જો અહીં પતંગ ઉડાડવામાં આવે તો પક્ષી માઈગ્રેટ થતા હોય ઘાયલ થઈ શકે. અહીં જીવદયાને પ્રાથમિકતા આપવામાં આવે છે. આથી ગીરનાં આ તાલુકામાં વસતા પક્ષીઓ ઘાયલ થતા નથી. અહીંના પક્ષીઓ મુક્તમને ગગન વિહાર કરતા જોવા મળે છે.

ગીર સોમનાથ જિલ્લાનાં મોટાભાગનાં શહેરોમાં ઉત્તરાયણ પર્વે પતંગ ઉડતા જ નથી. આ દિવસે દાન પુણ્યનું ખાસ્સું મહત્વ અહીં રહે છે. લોકો મંદિરો માટે અનાજ તેમજ મમરા અને તલનાં લાડુનું દાન કરે છે. તો રોકડ રકમ પણ દાનમાં આપે છે. ગીર સોમનાથ જિલ્લો જળ પ્લાવિત વિસ્તાર છે. અહીં ડિસેમ્બરથી જાન્યુઆરી દરમિયાન અનેક વિદેશી પક્ષીઓ શિયાળો ગાળવા આવે છે. અહીં પતંગ ન ઉડતા હોવાને કારણે દેશી તેમજ વિદેશી પક્ષીઓ અહીં સુરક્ષિત રહે છે. અહીં પક્ષીઓનું સંરક્ષણ થાય છે. જે ઉમદા અને પ્રેરણારૂપ તેમજ આવકાર્ય પગલું છે. કેમ કે, આજના દિવસે સમગ્ર રાજ્યમાં અનેક પક્ષીઓ ઘાયલ થતાં હોવાના સમાચાર સામે આવે છે પરંતુ ગીર સોમનાથ જિલ્લામાં જૂજ માત્ર પક્ષીઓ ઘાયલ થતાં હોવાની જાણકારી મળે છે.

(8:13 pm IST)