ધો. ૧૦ બાદ ધો. ૧૨માં માસ પ્રમોશનની શકયતા ઓછીઃ ટૂંક સમયમાં સત્તાવાર નિર્ણય
ધો. ૧૦ બાદ ડીપ્લોમાં પ્રવેશ અંગે તજજ્ઞ કમિટિની રચના થશે
રાજકોટ તા. ૧૫ : કોરોનાની બીજી લહેરે ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોવીડ-૧૯નું સંક્રમણ વધારી દીધું છે. આ સાથે કયાંક મીની લોકડાઉન તો કયાંક સંપૂર્ણ લોકડાઉન જેવી સ્થિતિ છે પરંતુ ગુજરાતમાં તો છેલ્લા દોઢ માસથી શિક્ષણ ક્ષેત્રે લોકડાઉન છે. વાર્ષિક પરીક્ષા સમયે જ કોરોનાનું સંક્રમણ વધતા પરીક્ષા મોકુફ રાખવામાં આવે છે. ધો. ૧ થી ૯ અને ધો. ૧૧માં માસ પ્રમોશન આપ્યા બાદ બે દિવસ પૂર્વે ગુજરાત સરકારે ધો. ૧૦માં પણ માસ પ્રમોશનની જાહેરાત કરી છે. જ્યારે ધો. ૧૨ માટે માસ પ્રમોશનનો નિર્ણય પણ ટુંક સમયમાં લેવાનાર હોવાનું જાણવા મળે છે.
આમ તો ધો. ૧૨ માટે માસ પ્રમોશન નહી આપવા નિર્ણય થયાની ચર્ચા ચાલે છે પરંતુ સત્તાવાર જાહેરાત આજે થવાની શકયતા છે.
ધો. ૧૨માં માસ પ્રમોશન આપવું કે નહીં ? તે અંગે આજે બેઠક મળી રહી છે. ધો. ૧૦માં માસ પ્રમોશન બાદ અનેક પ્રશ્નો ઉભા થયા છે. ધો. ૧૦ની પરીક્ષા બાદ ડિપ્લોમાં એન્જીનિયરીંગમાં પ્રવેશ કેવી રીતે આપવો ? તે મુખ્ય સમસ્યા છે તેના માટે એક કમિટિની રચના થનાર છે.
ધો. ૧૦ બાદ ડિપ્લોમાં એડમીશન માટે કમિટિ રચાશે. આ વિશેષ કમિટિમાં અંદાજે ૮ શિક્ષણ શાસ્ત્રીઓનો સમાવેશ કરવામાં આવશે.