રાજ્યના પૂર્વ મંત્રી એલ.ટી. રાજાણીનું નિધન
જૂનાગઢ જિલ્લા સહકારી બેન્કના પૂર્વ ચેરમેન તરીકે પણ ફરજ બજાવી’તીઃ અમદાવાદમાં કોરોનાની સારવાર દરમિયાન અંતિમશ્વાસ લીધા
(વિનુ જાશી દ્વારા) જૂનાગઢ, તા. ૧૫ :. રાજ્યના પૂર્વ મંત્રી એલ.ટી. રાજાણીનું અમદાવાદની હોસ્પીટલમાં કોરોનાની સારવાર દરમિયાન નિધન થતા ઘેરોશોક છવાઈ ગયો છે.
૭૫ વર્ષના પૂર્વ મંત્રી અને જૂનાગઢ જિલ્લા સહકારી બેન્કના પૂર્વ ચેરમેન એલ.ટી. રાજાણીની તબીયત નાદુરસ્ત થતા અમદાવાદ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં આજે સવારે તેઓએ અંતિમશ્વાસ લેતા જૂનાગઢ પંથકમા શોકનું મોજુ ફરી વળ્યુ છે.
જનસંઘ વખતથી જૂનાગઢ જિલ્લામાં ભાજપને મજબૂત કરવા માટે સિંહફાળો આપનાર એલ.ટી. રાજાણી બે પુત્ર વિનુભાઈ અને કાળુભાઈ સહિતના પરિવારજનોને વિલાપ કરતા છોડી ગયા છે.
મેંદરડા તાલુકાના સમઢીયાળા ગામના વતની એલ.ટી. રાજાણી જૂનાગઢ જિલ્લા પંચાયતમા ચાર વખત સભ્ય તરીકે રહી ચૂકયા છે. તેમજ મેંદરડા યાર્ડના ચેરમેન તરીકે પણ સેવા આપી ચૂકયા છે.
એલ.ટી. રાજાણીના અવસાનના સમાચારથી જૂનાગઢ, મેંદરડા સહિત સોરઠમાં ભારે શોક છવાયો છે. પરિવારજનો, આગેવાનો, કાર્યકરોએ શોકાંજલી પાઠવી હતી.(૨-૧૮)