ગાંધીનગરના સેકટરોમાં આવેલ ગટર લાઈનના મેઈન હોલ ખુલ્લા હોવાના કારણોસર ઝેરી ગેસ ઉત્પન્ન થવાથી લોકોના સ્વાસ્થ્યને જોખમ
ગાંધીનગર:શહેરના સેક્ટરોમાં આવેલી ગટર લાઇનના ઘણા મેઇન હોલ કવર ખુલ્લા હોવાથી ઝેરી ગેસ ઉત્પન્ન થતો હોય છે. જેના પગલે નગરજનોનું આરોગ્ય પણ જોખમાઇ શકે એમ છે. તો બીજી તરફ ખુલ્લી ગટરોના લીધે અકસ્માતનો ભય પણ નગરજનોને સતાવી રહ્ય છે. ઢાંકણા બંધ કરવા સહિત વરસાદી પાણીના નિકાલની પાઇપલાઇન તથા ગટરના નવીનિકરણની કામગીરી સહિત પ્રિ- મોનસુન પ્લાનીંગ કરવાની ઉચ્ચકક્ષાએ રજુઆત પુર્વ મેયર દ્વારા કરવામાં આવી છે.
પાટનગરના સેક્ટરોમાં છેલ્લા ઘણા સમયથી ઢાંકણા વગરની ખુલ્લી ગટરો ઠેકઠેકાણે જોવા મળી રહી છે. તો ગટરના ઢાંકણા ખુલ્લા હોવાથી ઝેરી ગેસ પણ ઉત્પન્ન થતો હોય છે તે નગરજનોના આરોગ્ય માટે પણ જોખમી છે. તે અંગે પુર્વ મેયર પ્રવિણભાઇ પટેલે ઉચ્ચકક્ષાએ રજુઆત કરી હતી કે, તંત્ર દ્વારા મોનીટરીંગ કરવામાં આવે તો કેટલી ગટરના ચેમ્બરના મેઇન હોલ ખુલ્લા જોવા મળી રહ્યાં છે. સેક્ટર-૨૨માં વાસ્તુનિર્માણ સોસાયટીમાં પણ છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની ખુલ્લી ગટરો ઝેરી ગેસ ઉત્પન્ન કરી રહી છે તો ઢાંકણા નહીં હોવાના કારણે અકસ્માતનો ભય પણ અવર જવર કરતાં લોકોને સતાવી રહ્યો છે. આગામી દિવસોમાં ચોમાસુ સક્રિય થવાનું હોવાથી ગટરના ઢાંકણા તેમજ વરસાદી પાણીના નિકાલની પાઇપલાઇનો અંગેની કામગીરીનું પણ મોનીટરીંગ કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે તો મુખ્ય અને આંતરિક માર્ગોની જે કામગીરી ચાલી રહી છે. ત્યાં ગટરના ઢાંકણા ખુલ્લા તેમજ આજુબાજુના ખાડા અને પુરાણની પણ સત્વરે કામગીરી કરવી જોઇએ. આમ રોડ પુરાણ લેવલ, વરસાદી પાણીના નિકાલની આસપાસ કચરો તથા પુરાણ થઇ ગયું હોય ત્યાં જગ્યાં ખુલ્લી કરવા સહિત ઉભરાતી ગટરોની સમસ્યાને દુર કરવાની માંગ કરી છે.