અમદાવાદ: ખોખરામાં અગાઉની તકરારની અદાવતમાં બે શખ્સોએ યુવકનું અપહરણ કરી જીવલેણ હુમલો કરતા યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત
અમદાવાદ: શહેરના ખોખરામાં અગાઉની તકરારની અદાવત રાખીને બે શખ્સોએ યુવકનું અપહરણ કર્યું હતું અને ઘરમાં ગોંધી રાખીને હાથ-પગ બાંધીને ઢોર માર માર્યા બાદ ચાકુના ઘા માર્યા હતા. બુમાબુમ કરતાં છોડી મૂકયા બાદ પોલીસમાં ફરિયાદ કરીશ તો તને તથા પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી, ગંભીર રીતે ઘાયલ યુવક અસારવા સિવિલમાં સારવાર હેઠળ છે.
ઘરમાં માર માર્યા બાદ બગીચામાં લઇ જઇ ફટકાર્યો, યુવક સારવાર હેઠળ ઃ પોલીસમાં ફરિયાદ કરીશ તો તને અને પરિવારને ખતમ કરવાની ધમકી આપી
આ કેસની વિગત એવી છે કે ખોખરા વિસ્તારમાં લાલભાઇ સેન્ટર સામે પતરાવાળી ચાલીમાં રહેતા રાહુલભાઇ સુનીલભાઇ પોદારે (ઉ.વ.૧૯) એ ખોખરા પોલીસ સ્ટેશનમાં પ્રભુ મદ્રાસી તથા સોનલ ડિકોસ્ટા સામે ફરિયાદ નોધાવી છે, ફરિયાદી ગઇકાલે સાંજે ખોખરા વિસ્તારમાં લાલભાઇ સેન્ટર ચાર રસ્તા પાસે ઉભા હતા ત્યારે પ્રભુ મદ્રાસી અને સોનલ ડિકોસ્ટા આવ્યા હતા અને સ્કૂટર પર બેસી જવાનું કહ્યું હતું જો કે યુવકે ના પાડીને ભાગવા જતાં આરોપીઓએ જબદસ્તીથી બેસાડી દીધો હતો અને ભાઇપુરા પરશુરામની ચાલી ખાતે સોનલના ઘરે લઇ ગયા હતા.
જ્યાં ઘરમાં પૂરીને હાથ -પગ બાંધી દીધા હતા અને ગાળો બોલીને લકડાના દંડાથી ઢોર માર માર્યો હતો. બુમો પાડતાં આસપાસાના લોકો એકઠા છતાં ત્યાંથી ચૂપચાપ બેસી રહેજે કહીને ધમકી આપીને સ્કૂટર પર બેસાડીને ખોખરા મણીયાસા ગાર્ડનમાં લઇ ગયા હતા, ત્યાં પણ સોનલે લાકડાથી માર માર્યો હતો અને પ્રભુએ માથા તથા કપાળના ભાગે ચાકુના ઘા માર્યા હતા. યુવકે બુમાબુમ કરતાં તેનો મિત્ર આવી પહોચ્યો હતો અને ત્યાંથી છોડાવ્યો હતો, આરોપીઓએ ધમકી આપીને હતી કે તું પોલીસમાં ફરિયાદ કરીશ તો તેને તથા તારા પરિવારને જાનથી મારી નાંખીશું, ઘરે ગયા બાદ યુવકને સારવાર માટે અસારવા સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો.