ગુજરાત
News of Sunday, 15th May 2022

ગુજરાતમાં વહેલી ચૂંટણીના ભણકારા વચ્ચે ભાજપની 40થી વધુ આગેવાનોની ચિંતન શિબિર 15 અને16 મે ના રોજ

ચિંતન શિબિરમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ, અને પ્રભારી ભુપેન્દ્ર યાદવ પણ હાજર રહેશે: શિબિરમાં મંત્રીઓ અને ગુજરાત ભાજપ સંગઠનની કામગીરીની સમીક્ષા સાથે ચૂંટણીલક્ષી વ્યૂહરચના ઘડવામાં આવશે

અમદાવાદ : ગુજરાતમાં વહેલી ચૂંટણીના ભણકારા વચ્ચે ભાજપની 40થી વધુ આગેવાનોની ચિંતન શિબિર 15 અને16 મે ના રોજ યોજાશે.  નળસરોવર પાસેના કેન્સવિલે ખાતે યોજાનારી આ ચિંતન શિબિરમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ, અને પ્રભારી ભુપેન્દ્ર યાદવ પણ હાજર રહેશે, આ શિબિરમાં મંત્રીઓ અને ગુજરાત ભાજપ સંગઠનની કામગીરીની સમીક્ષા સાથે ચૂંટણીલક્ષી વ્યૂહરચના પર પણ ચર્ચા કરવામાં આવશે. વર્ષના અંતમા ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. તમામ પક્ષો દ્વારા વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. ભાજપના 40થી વધુ નેતાઓ બે દિવસ સુધી ચૂંટણી અંગે વિચારણા કરશે. 15 અને 16 મેના રોજ ભાજપનું ચિંતન શિબિર યોજાઈ રહી છે જેમાં ચૂંટણીની રણનીતિ નક્કી કરવામાં આવશે. પાર્ટીની કોર કમિટીના સભ્યો તેમજ સંસદીય બોર્ડના સભ્યો બેઠકમાં હાજરી આપશે.

આ બેઠકમાં ભાજપ મહામંત્રીની સાથે સંગઠનના ટોચના નેતાઓ પણ હાજર રહેશે. ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા બાદ પાર્ટીની  આ પ્રથમ ચિંતન શિબીર છે, ભાજપની આ બે દિવસની ચિંતન શિબિરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાત પ્રભારી  ભુપેન્દ્ર યાદવ, સહ પ્રભારી સુધીર ગુપ્તા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ,  પ્રદેશ ભાજપ  અધ્યક્ષ, સી આર પાટીલ,મહામંત્રીઓ  અમુક ઉપાધ્યક્ષ, પૂર્વ મંત્રીઓ, હાલના મંત્રીઓ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજર રહેશે.  શિબિરમાં મહત્વના બે સમુદાય આદિવાસી સાથે પાટીદાર સમાજની પણ ચર્ચા થાય તેવી શક્યતા છે. ગુજરાતમાં છેલ્લી છ ટર્મથી ભાજપ સત્તા પર હોવાથી, એન્ટી ઈન્કમ્બન્સી તેમજ મોંઘવારીના મુદ્દાને લઈને ભાજપના નેતાઓને આ શિબિર દ્વારા જનતા સુધી પહોંચવાનો માર્ગ મળશે. આ બેઠકમાં કેટલાક સત્રો હશે, જેમાં સોશિયલ મીડિયા, મીડિયા કમિટી, આઈટી સેલના સત્રો પણ હશે.છેલ્લા  27 વર્ષ થી ગુજરાતમાં સત્તાનો ગઢ જમાવી બેઠેલ ભાજપને આ વર્ષની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટી પણ ટક્કર આપવા તૈયારી કરી રહી છે.

ભાજપને સીધી ટક્કર આપવા માટે હવે આમ આદમી પાર્ટીની નજર ભાજપના ગઢ પર હોય એમ લાગી રહ્યું છે. કારણ કે રાહુલ ગાંધીના દાહોદ પ્રવાસ બાદ આજે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ મિશન ગુજરાત પર ફોક્સ કરી રહ્યા છે..આ વચ્ચે ભાજપ માટે ચિંતન મહત્વનું બની રહે છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022માં ભાજપે લક્ષ્ય તો 182 માંથી 182 બેઠકો જીતવાનો આપ્યો છે.પણ સામે પડકારો પણ ઘણા છે.કોંગ્રેસ કરતા બમણા જોરથી આમ આદમી પાર્ટી ગુજરાતમાં મહેનત કરી રહી છે.તો બીજી તરફ કર્મચારીઓના પ્રશ્નોથી લઈ વધતી મોંઘવારીના પણ પડકારો છે/ સતત 27 વર્ષથી શાસનના કારણે એન્ટી ઇન્કમબનસીનો પણ વિષય સામે આવતો હોય છે આ વચ્ચે ચિંતન મનન સ્વાભાવિક છે અને ભાજપની પ્રણાલી પણ છે. જિલ્લા, તાલુકા અને મહાનગર દ્વારા કાર્યક્રમોનું પ્રેઝન્ટેશન પણ થશે. સંગઠનાત્મક કાર્યક્રમો પણ તૈયાર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 20 થી 21 મે દરમિયાન જયપુરમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યસમિતિની બેઠક યોજાવા જઈ રહી છે, જે પહેલા ગુજરાતમાં ચિંતન શિબિર મહત્વપૂર્ણ બની રહેશે.

(1:18 pm IST)