ગુજરાત
News of Monday, 15th August 2022

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ૭૬ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી : SOUADTGA ચેરમેન જે.પી.ગુપ્તાએ ધ્વજવંદન કયું

સ્વતંત્રતા ચળવળની ઐતિહાસિક ઘટનાઓના સંસ્મરણોને વાગોળી “ મા ભોમ“ ની રક્ષા કાજે શહીદી વ્હોરનારા સ્વતંત્ર-અખંડ ભારતના નિર્માતા શહીદ સપૂતોને શ્રધ્ધા-સુમન સાથે હ્રદયપૂર્વકની અંજલી અર્પતા SOUADTGA ચેરમેન જે.પી.ગુપ્તા: સમાજની દરેક વ્યક્તિએ સમરસતા અને સમભાવ સાથે સૌના સાથ સૌના વિકાસ સાથે આગળ વધવાની કટિબદ્ધતા સાથે મજબુત રાષ્ટ્રના નિર્માણમાં પોતાના યોગદાન માટે સંકલ્પબદ્ધ થવા ગુપ્તાનો અનુરોધ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાષ્ટ્રના ૭૬ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે આજે સૌ પ્રથમવાર અતિવિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબના સાનિધ્યમાં યોજાયેલા ધ્વજારોહણ સમારોહમાં રાષ્ટ્રભક્તિના અનોખા માહોલ વચ્ચે ગુજરાતના નાણાં વિભાગના અગ્રસચિવ અને સરદાર સરોવર નર્મદા નિગમના વહિવટી સંચાલક તથા SOUADTGA ચેરમેન જે.પી.ગુપ્તાએ આજે રાષ્ટ્રધ્વજ ફરકાવીને ત્રિરંગાને સલામી અર્પી હતી. ત્યારબાદ ગુપ્તાએ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ(CISF)ના‌ પ્લાટુનની પરેડનું નિરીક્ષણ કર્યું હતું આ તકે SOUADTGA મુખ્ય કારોબારી અધિકારી રવિશંકર અને CISF ના ડેપ્યુટી કમાન્ડન્ટ નિર્ભય સિંગ પણ સાથે જોડાયા હતા.            
SOUADTGA ચેરમેન જે.પી.ગુપ્તાએ  “ મા ” ભારતીના ઇતિહાસના ગૌરવપૂર્ણ દિવસની આજની ઉજવણી પ્રસંગે ધ્વજવંદન બાદ ઉપસ્થિત પ્રવાસીઓ સહિત સૌ દેશવાસીઓને ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, દેશની આઝાદી અપાવવામાં અમૂલ્ય યોગદાન આપનાર આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓની કુરબાની, અપ્રતિમ શોર્ય અને દેશ માટે પોતાના પ્રાણ ન્યોચ્છાવર કરનાર તમામને હું વંદન કરૂ છું. સાથોસાથ ભારતના મહાન સપૂત અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની અતિ વિરાટ પ્રતિમા સમક્ષ ધ્વજારોહણ કરવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થવા બદલ ભારતના આ વીર સપૂતોના ચરણોમાં શત શત વંદન કરૂ છુ. દેશની આઝાદી અપાવવામાં નામી-અનામી રાષ્ટ્રપુરૂષો સહિત “ માં ભોમ ” કાજે શહીદી વહોરનારા આઝાદીના લડવૈયાઓ અને “ માં ભોમ ” ની આન-બાન અને શાનને બરકરાર રાખવા અને “ મા ” ભારતીની રક્ષા કાજે પ્રાણ ન્યોછાવર કરનારા વીરોના પ્રતાપે આજે આપણને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળવાની સાથોસાથ પ્રત્યેક નાગરિકને વાણી સ્વતંત્રતા,રોજગારીની સ્વતંત્રતા અને દેશના વિકાસમાં સ્વનિર્ણયની સ્વતંત્રતાની અમૂલ્ય ભેટ મળી છે.સમગ્ર ભારત દેશ આજે આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના સુઅવસરે “આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઉજવણી કરી રહ્યો છે. હવે ભારત માટે અમૃતકાળ શરૂ થવાનો છે,આગામી ૨૫ વર્ષમાં ભારત દેશ વિકાસના નવા સોપાનો સર કરવાનો છે ત્યારે છેલ્લા ૭૫ વર્ષમાં ભારતે જે વિકાસ કર્યો છે,તેનું મુલ્યાંકન કરવાનું અને પ્રત્યેક ગામ,પ્રત્યેક વ્યક્તિ અને પ્રત્યેક વર્ગો માટેની ઉપલબ્ધિઓ વિશે પણ જાણવુ જોઇએ. ૭૫ વર્ષમાં ભારતે ખુબ પ્રગતિ કરી છે, શિક્ષણ હોય, આરોગ્યક્ષેત્ર કે દેશની સુરક્ષા વિગેરે જેવી બાબતોમાં દેશની સરકારો અને ભારતના નાગરિકોએ પ્રજાહિતના સામુહિક નિર્ણયો લીધા છે અને આગળ વધવાની નેમ એ સહિયારા પુરૂષાર્થનું પ્રતિક હોવાનું તેમણે ઉમેર્યુ હતુ.  

આગામી સમયમાં પણ સમાજના દરેક વ્યક્તિએ સમરસતા અને સમભાવ સાથે સૌના સાથ - સૌના વિકાસ સાથે આગળ વધવા કટિબદ્ધ બનવાની ગુપ્તાએ અપીલ કરી હતી.દેશના નાગરિકોએ સમાજના વિકાસ સાથે પર્યાવરણની જાળવણી માટે વિશેષ ભાર મુકતા તેઓએ એકતાનગરનાં સમગ્ર વિસ્તારમાં રહેલા પ્રાકૃતિક સૌંદર્યની સાથે વન-પર્યાવરણ,પાણી અને આદિવાસી સંસ્કૃતિની જાળવણી સાથે વિકાસયાત્રા આગળ ધપાવવાની હિમાયત કરી હતી.વિકાસ વણથંભ્યો રહે અને છેવાડાના માનવીના વિકાસ સાથે નાગરિક તરીકેના અધિકારો,ફરજો અને કર્તવ્યોના પાલનની સજાગતા સાથે દેશની પ્રગતિને આગળ ધપાવીને મજબુત રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું યોગદાન આપવા સંકલ્પબદ્ધ થવા શ્રી ગુપ્તાએ આહવાન કર્યુ હતુ.ધ્વજવંદન બાદ જે.પી.ગુપ્તા સહિતના મહાનુભાવોએ વિશ્વ વન ખાતે વૃક્ષારોપણ કર્યુ હતુ.
 અત્રે ઉલ્લેખનીય છે કે, આજના આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી નિમિત્તે SOUADTGA મુખ્ય કારોબારી અધિકારી રવિશંકર, સરદાર પટેલ ઝૂલોજીકલ પાર્કના નિયામક ડૉ. રામરતન નાલા, SRPના સેનાપતિ એન્ડ્રુઝ મેકવાન, અધિક કલેકટર હિમાંશુ પરીખ, નાયબ વન સંરક્ષક પ્રતિક પંડયા, નર્મદા ડેમના મુખ્ય ઇજનેર રાજેન્દ્ર કાનુન્ગો,અધિક્ષક ઇજનેર જે.કે.ગરાસીયા, એમ.એલ. પટેલ,નાયબ કલેકટર સર્વ ડૉ. મયુર પરમાર, કુલદિપસિંહ વાળા, નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુ અને CISF ના ડેપ્યુટી કમાન્ડન્ટ નિર્ભય સિંગ, રાજય સરકારના પૂર્વ મંત્રી શબ્દશરણ તડવી સહિત પ્રવાસીઓ અને અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(10:17 pm IST)