ગુજરાત
News of Wednesday, 15th September 2021

પિતાએ સપનામાં આવીને કહ્યું, મારા મોત માટે તુ જવાબદાર :પુત્રનો સાબરમતીમાં કૂદીને આપઘાત : સ્યુસાઇટ નોટમાં ચોંકાવનારો ખુલાસો

મૃતકે આપઘાત કરતા પહેલા ભાઈને સંબોધીને એક પત્ર લખી આપઘાત કર્યો : સુસાઇડ નોટ પોલીસે કબ્જે કરી

અમદાવાદ : શહેરની સાબરમતી નદીના દધીચી બ્રિજ પરથી તાજેતરમાં  એક યુવકે મોતની છલાંગ લગાવી આપઘાત કર્યાનો વિડીયો વાયરલ થયો હતો. આ ઘટનામાં પોલીસ તપાસમાં ચોંકાવનારી હકીકત બહાર આવી છે. પોલીસે મૃતકના ઘરે તપાસ કરતા મૃતકે આપઘાત કરતા પહેલા ભાઈને સંબોધીને એક પત્ર લખી આપઘાત કર્યો છે. આ સુસાઇડ નોટ પોલીસે કબ્જે કરી છે. 

મૃતકે સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, " મારા પિતાએ મને કહ્યું કે મારા કારણે જ તેમનું મોત થયું છે. જેથી હું મારા પિતા પાસે માફી માંગવા જઈ રહ્યો છું. મારા મૃત્યુ પાછળ કોઇ જવાબદાર નથી. મારા ભાઈ અને ભાભીનો મારા આપઘાત બાબતે કોઈ વાંક નથી. જેથી તેમને કોઈ હેરાન કરવા નહીં " આ સ્યુસાઇડ નોટ મળ્યા બાદ થોડા સમય માટે પોલીસ પણ અચંબામાં પડી હતી.

આપઘાત કરનાર યુવકના ખિસ્સામાંથી આ પ્રકારની સુસાઇડ નોટ મળી આવતા પોલીસ તપાસમાં નવો વળાંક આવ્યો છે. પોલીસે હકીકતના મૂળ સુધી પહોંચવા માટે તપાસ કાર્યવાહી શરૂ કરી છે. સ્વર્ગવાસી પિતા રમણભાઈના મોત માટે પોતાને જવાબદાર ગણી આપઘાત કરનાર રજનીકાંત પરમારના કેસ બાબતે પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

(12:12 am IST)