કાલે નવા મંત્રીમંડળની શપથવિધિ : તમામ ધારાસભ્યોને ગાંધીનગરમાં પહોંચવા સૂચના :મંત્રીઓના નામની યાદી તૈયાર
નવા પ્રધાનમંડળમાં રૂપાણી સરકારના 10 કરતા વધુ પ્રધાનોની બાદબાકી થવાની શક્યતા
અમદાવાદ : નવા મુખ્યમંત્રી તરીકે નિયુક્ત થયેલા ભૂપેન્દ્રભાઈ પટેલે સોમવારના રોજ શપથવિધિ લીધા બાદ હવે તેઓ નવાં મંત્રીમંડળની રચના કરશે. ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર ભાઈ પટેલએ શપથ ગ્રહણ કર્યા બાદ હવે નવી સરકારના પ્રધાનમંડળની રચનાની કવાયત હાથ ધરાઇ છે. હવે કાલે મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રધાનમંડળની શપથવિધિ યોજાશે.
રાજભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આચાર્ય તમામ પ્રધાનોને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવશે. શપથગ્રહણ બાદ કેબિનેટની બેઠક મળશે. જેમાં નવા પ્રધાનોને ખાતાની જવાબદારી સોંપવામાં આવશે. ભાજપના તમામ ધારાસભ્યોને ગાંધીનગર પહોંચવા સૂચના આપવામાં આવી છે. રાતથી સંભવિત પ્રધાનોને કોલ કરવામાં આવશે. આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નવા પ્રધાનમંડળમાં રૂપાણી સરકારના 10 કરતા વધુ પ્રધાનોની બાદબાકી થવાનું મનાઇ રહ્યું છે. જ્યારે 12 જેટલાં નવા ચહેરાઓનો પ્રધાનમંડળમાં સમાવેશ થઇ શકે છે. ભૂપેન્દ્ર યાદવ તેમજ બી.એલ.સંતોષ કેન્દ્રીય મોવડીમંડળ સાથે સતત સંપર્કમાં રહી નવા પ્રધાનોની યાદી તૈયાર કરી છે