વિજયભાઇ રૂપાણી શુક્રવારે રાજકોટમાં: નવનિર્મિત હેમુ ગઢવી હોલનું ઉદઘાટન કરશે
વજુભાઇ વાળાની પણ પ્રેરક ઉપસ્થિતિઃ સરકારી ગાઇડ લાઇન અનુસાર કાર્યક્રમ
રાજકોટઃ તા.૧૫, ગુજરાત રાજ્ય સરકાર દ્વારા નિર્મિત અને સાંસ્કૃતિક યુવા અને સાંસ્કૃતિક વિભાગ અને સરગમ કલબ દ્વારા સંચાલિત હેમુ ગઢવી હોલનું ૬ કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્માણ કરવામાં આવ્યું છે અને નવી નવી સુવિધા ઉભી કરવામાં આવી છે. આ નવનિર્મિત હોલનો ઉદઘાટન સમારોહ આગામી તા. ૧૭ને શુક્રવારે સાંજે ૬ વાગ્યે રાખવામાં આવ્યો છે. આ હોલનું ઉદઘાટન રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરાશે.
સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના જણાવ્યા અનુસાર, સમારોહમાં પ્રમુખ સ્થાને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા ઉપસ્થિત રહેશે. જયારે મુખ્ય મહેમાન પદે યુવક સેવા સંસ્કૃતિક વિભાગના કમિશનર પી.આર. જોશી ( આઈ.એ.એસ.), મેયર પ્રદીપભાઈ ડવ, સંસદ સભ્ય રામભાઈ મોકરિયા, મોહનભાઈ કુંડારિયા, મ્યુનીસીપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ, ધારાસભ્ય ગોવિદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્ધાજ, શહેર ભાજપના પ્રમુખ કમલેશ મીરાણી, સંગીત નાટ્ય અકાદમીના ચેરમેન પંકજભાઈ ભટ્ટ, જીલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, પુજારા ટેલીકોમના યોગેશભાઈ પુજારા અને ડી.એમ.એલ ગ્રુપના હરીશભાઇ લાખાણી વગેરે ઉપસ્થિતિ રહેશે.
ઉદઘાટન સમારોહ થયા બાદ ૯ વાગ્યા સુધી સંગીત સંધ્યા રાખવામાં આવી છે. આ સંગીત સંધ્યામાં સુરોજીત ગુહા (ચેન્નાઈ), સંગીતા મેલેકરં(મુંબઈ), નીલિમા ગોખલે (મુંબઈ), ગોવિંદ મિશ્રા ( મુંબઈ), મોહસીન શેખ ( અમદાવાદ )વગેરેં ધૂમ મચાવશે. આ પ્રસંગે મ્યુઝીક મેલોઝુ ઓરકેસ્ટ્રાના રાજુભાઈ ત્રિવેદી જમાવટ કરશે.
આ કાર્યક્રમ માત્ર આમંત્રિતો માટે મર્યાદિત રાખવામાં આવ્યો છે. પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને દરેક આમંત્રીતે ૧૫ મિનીટ પહેલા સ્થાન મેળવી લેવું અને નિમંત્રણ કાર્ડ સાથે લઇ ને આવું તેમ યાદીમાં જણાવ્યું છે.
આ કાર્યક્રમની સફળતા માટે ગુણવંતભાઈ ડેલાવાળા ના માર્ગદર્શન હેઠળ મૌલેશભાઈ પટેલ, ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, ડો.માલાબેન કુંડલીયા, ભરતભાઈ સોલંકી, રાજેન્દ્રભાઈ શેઠ, જયસુખભાઈ ડાભી તેમજ બને કલબનાં કમીટી મેમ્બર વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.