સુરતમાં કાર ભારે મુકવાના બહાને સગેવગે કરવાના કૌભાંડમાં એક શખ્સની ધરપકડ કરવામાં આવી
સુરત, : અસ્તિત્ત્વ નહીં ધરાવતી કંપનીમાં કાર ભાડે મુકવાના બહાને લઈ સગેવગે કરવાના કૌભાંડમાં બોટાદથી ઝડપાયેલો કેતૂલ પરમાર માત્ર પ્યાદો હોવાનો ખુલાસો થયો છે. આર્થિક ગુના નિવારણ શાખાની તપાસમાં કામરેજના કાળુ ભરવાડ, ભોલા સીંધવ મુખ્ય સૂત્રધાર હોવાનું અને બંને લસકાણાના ગોપાલ જગરાણા અને બોટાદના જગો માલખીયા મારફતે બોટાદમાં કાર વેચતા હોવાનું બહાર આવ્યું છે. અત્યાર સુધી આ ટોળકીએ સુરત, બોટાદ, ભાવનગર, ભરૂચ, ધંધુકા, નંદુરબારમાં કુલ 272 કાર સગેવગે કરી છે.
અસ્તિત્ત્વ નહીં ધરાવતી કંપનીમાં કાર ભાડે મુકવાના બહાને લઈ સગેવગે કરવાના કૌભાંડમાં સુરત આર્થિકગુના નિવારણ શાખાએ બોટાદથી કેતુલ ઉર્ફે કેતન પ્રવિણભાઇ પરમાર ( ઉ.વ.34, રહે. મેગાળ, તા વડગામ, જી.બનાસકાંઠા. હાલ રહે.મકાન નં.25, સાંઇસ્વામી રેસીડેન્સી, કીમ ચોકડીથી ફાટક પહેલા, કીમ ગામ, સુરત ) ની અઠવાડીયા અગાઉ ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતા. આર્થિક ગુના નિવારણ શાખાની અત્યાર સુધીની તપાસમાં ખુલાસો થયો છે કે કેતુલ મુખ્ય સૂત્રધાર નહીં પણ કૌભાંડનો માત્ર પ્યાદો છે. વાળંદ તરીકે કામ કરતા કેતુલનો ધંધો લોકડાઉનને લીધે બંધ થતા તે ડ્રાઈવરનું છૂટક કામ કરવા લાગ્યો હતો. તે અરસામાં તેનો સંપર્ક કામરેજમાં ફાઇનાન્સનું કામ કરતા મૂળ બોટાદના કાળુ ભરવાડ અને ભોલા સીંધવના સંપર્કમાં આવ્યો હતો.