નરેશ પટેલના પોલિટિકલ એક્ઝિટની ૬ મોટી વાતો
રાજકોટ, તા.૧૬: નરેશ પટેલે પત્રકાર પરિષદ કરીને કહી દીધુ કે, મારા રાજકારણ પ્રવેશનો વિષય અહી પૂરો થાય છે. ત્યારે પત્રકાર પરિષદમા લાખ સવાલો છતાં નરેશ પટેલે એક જ વાત કરી કે, સમાજના વડીલોના કહેવાથી તેમણે રાજકારણના પ્રવેશનો મુદ્દો મોકૂફ રાખ્યો છે. ત્યારે તેમના પત્રકાર પરિષદના મહત્વના મુદ્દા પર નજર કરીએ.
૧. સંકેત આપ્યાઃ તેમણે જણાવ્યું હતું કે, મારા પર કોઈ રાજકીય દબાણ નથી, વડીલોની સલાહ માનીને મેં આ નિર્ણય લીધો છે. પરંતુ સમય અને સંજોગ શું કરાવે તે આપણને ખબર નથી. મારા પર કોઈ પોલિટિકલ પ્રેશર નથી, અને તેનાથી રાજકારણમાં પ્રવેશનો નિર્ણય મોકૂફ રાખ્યો છે તેવુ નથી. હવે અહીં વિષય પૂરો કર્યો છે તો ડિટેઈલિંગમાં ન ઉતરો તો સારું. મને હજી પણ લોકો મળવા આવે તે શકય છે. કોઈ પણ પક્ષને સપોર્ટ કરવો હાલ એજન્ડા નથી.
૨. યુવાનો-મહિલાઓની હા, પણ વડીલોની નાઃ તેમણે કહ્યું કે, રાજકારણમાં મારા પ્રવેશનો નિર્ણય મોકૂફ રાખું છું. મારા પર કોઈ રાજકીય દબાણ નથી. ૮૦ ટકા યુવાનો અને ૫૦ ટકા મહિલાઓ મને રાજકારણમાં જવા કહે છે, પરંતુ ૧૦૦ ટકા વડીલોએ મને રાજકારણમાં ન જવાની સલાહ આપી છે. તેથી તેમની ચિંતાને માન આપીને મેં આ નિર્ણય લીધો છે.
૩. રાજકારણમાં જોડાય નહિ, પણ રાજકારણના પાઠ ભણાવશેઃ તેમણે જાહેરાત કરી કે, ખોડલધામ પોલિટિકલ એકેડમી શરૂ કરાશે. રાજકારણમાં નહીં જોડાય, ખોડલધામના પ્રોજેક્ટને આગળ વધારશે. આ સાથે નરેશ પટેલે એ પણ જાહેરાત કરી હતી કે આજથી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન ખાતે તમામ સમાજના યુવાનોને રાજકારણ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ આપવમાં આવશે.
૪. ૨૦૨૨ માં નરેશ પટેલનો રોલઃ દરેક ચૂંટણીમાં તમારો રોલ હોય છે. તો ૨૦૨૨ ની ચૂંટણીમાં તમારો રોલ શું હશે તે વિશે તેમણે કહ્યુ કે, ૨૦૨૨ માં દરેક પક્ષમાં પાટીદાર હોય, અને સારા પાટીદાર હોય, તથા અન્ય સમજાના લોકો મારી પાસે મદદ માંગવા આવશે તો તેમની મદદ કરશે. સારા લોકોને રાજકારણમાં મૂકવાનો પ્રયાસ કરીશું.
૫. મેં કયારેય મુખ્યમંત્રીની માંગણી મૂકી નથીઃ કોઈ પાર્ટી નાની નથી, દરેક મોટી છે. એ શરતો સ્વીકારે એ એમની બાબત છે, અને મારે જવુ ન જવુ મારી બાબત છે. મેં કયારેય મુખ્યમંત્રી બનવાની માંગણી મૂકી નથી. રાજકારણમાં આવવો મારો અંગત રસ હતો. પરંતુ મેં વિચાર્યુ કે, મારે મારી જાતને સમાજિક કાર્યોમાં મૂકવો જોઈએ.
૬. દીકરાને પણ રાજકારણમાં નહિ જવા દઉં: પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું કે, તેઓ પોતાના દીકરા શિવરાજને પણ રાજકારણમાં પ્રવેશ માટે ના પાડશે. તેમણે કહ્યુ કે, મારા દીકરાને પણ રાજકારણમાં જવા ના પાડીશ. પછી સમય અને સંજોગો કેવા હશે તે પછીની વાત છે.