ગુજરાત
News of Wednesday, 16th September 2020

પાક માટે જાસૂસી કરતો ઈમરાન ગિતેલી ગોધરામાંથી ઝડપાયો

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીનું ઓપરેશન : મૂળ ગોધરાના વતનીનો પરિવાર પાકિસ્તાનમાં રહે છે, ઈમરાન ગિતેલી સંવેદનશીલ માહિતી ISIને આપતો હતો

ગોધરા, તા. ૧૫ : નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(એનઆઈએ)ની ટીમે સોમવારે મોડી રાતે મહત્વપૂર્ણ ઓપરેશન પાર પાડતા ગોધરામાંથી પાકિસ્તાની જાસૂસને ઝડપી પાડ્યો છે. એનઆઈએની ટીમે પાકિસ્તાની જાસૂસ ઇમરાન ગિતેલીની પૂછપરછ શરૃ કરી દીધી છે. ઇમરાન ગિતેલી વિશાખાપટ્ટનમ જાસૂસી કેસનો પણ મુખ્ય આરોપી હોવાનું બહાર આવ્યું છે. પાકિસ્તાન માટે જાસૂસી કરતો ૩૭ વર્ષીય ઇમરાન ગિતેલી મૂળ ગોધરાનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે અને તે પાકિસ્તાન માટે જાસૂસી કરતો હતો. અંગે માહિતી મળતાં એનઆઈએની ટીમ ગોધરા ખાતે પહોંચી ગઈ હતી અને સ્થાનિક પોલીસની મદદ લઈને જાસૂસ ઇમરાન ગિતેલીને ઝડપી પાડ્યો હતો. તે પાકિસ્તાનની ગુપ્ત એજન્સી આઈએસઆઈ માટે કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. ઇમરાન યાકુબ ગિતેલી ગોધરાનો રિક્ષાચાલક છે અને તેનાં સગાં પાકિસ્તાનમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે.

          એનઆઈએના જણાવ્યા મુજબ, મામલો એક આંતરરાષ્ટ્રીય જાસૂસી રેકેટનો છે, જેમાં પાકિસ્તાનમાંથી ભારતમાં એજન્ટોની ભરતી કરવામાં આવે છે, જેનું કામ ભારતીય નૌસેનાના જહાજો અને સબમરીનની અવર-જવર અને રક્ષા પ્રતિષ્ઠાનોના લોકેશન સંદર્ભે સંવેદનશીલ અને વર્ગીકૃત જાણકારી ભેગી કરવાનું હોય છે અને તમામ માહિતીને પાકિસ્તાનમાં મોકલવામાં આવે છે. એનઆઈએએ જણાવ્યું હતું કે સમગ્ર મામલે હાલ તપાસ ચાલી રહી છે. દેશની સુરક્ષાને લગતી મહત્વની ગણાતી વિગતો પાકિસ્તાનના આઈએસઆઈને આપવામાં આવી હતી. જેના બદલામાં એસોસિયેટ બેંક એકાઉન્ટ થકી રૃપિયા પહોંચાડવામાં આવ્યા હતા. મામલે ૧૫ જૂને એનઆઈએએ ૧૪ આરોપીઓ સામે ચાર્જશિટ દાખલ કરી હતી. જાસૂસી ષડયંત્રમાં ઇમરાન ગિતેલીની મહત્વની ભૂમિકા સામે આવી હતી. ઇમરાન ગિતેલી રીક્ષા ચલાવવાની સાથે પાકિસ્તાન સાથે કાપડનો પણ વેપાર કરતો હતો. સંવેદનશિલ અને વર્ગીકૃત માહિતીના બદલામાં તેને ભારતીય નેવીના વ્યક્તિઓના બેંક એકાઉન્ટમાં રૃપિયા ટ્રાન્ફસર કર્યાં હોવાનું ખુલ્યું છે. એનઆઈએની ટીમે ઇમરાન ગિતેલીના ઘરે સર્ચ કરીને ડિજીટલ ડિવાઇઝ અને મહત્વના દસ્તાવેજો કબજે કર્યાં છે અને વધુ તપાસ માટે તેને હેદરાબાદ લઇ જવાયો હોવાનું જાણવા મળ્યું છે.

(10:10 pm IST)