અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં એક મહિલાની હત્યા કરી હોમગાર્ડ જવાન સહિત ત્રણ આરોપીઓ નાસી જવામાં સફળ રહ્યા
શાહીબાગ પોલીસેહોમગાર્ડ જવાન મનોજ સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરીઃ આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન
અમદાવાદઃ અહિંના શાહિબાગ પાસે આવેલ ગણપતનગર વિસ્તારમાં પાડોશી વચ્ચે ચાલતી તકરારમાં હોમગાર્ડ જવાને મહિલાને ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી નાસી ગયાના સમાચાર મળતા પોલીસે ગુન્હો નોંધવા તજવીજ હાથ ધરી છે.
શાહીબાગ વિસ્તારમાં ગણપતનગરમાં રહેતા હર્ષિદાબહેનના પરિવારને પાડોશીઓ સાથે અવારનવાર તકરાર થતી હતી. સામાન્ય બાબતે થતી તકરારે આજે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. બનાવને પગલે બે પરિવારો સામસામે આવી ગયા હતા. જેમાં હર્ષિદાબહેનને હોમગાર્ડ જવાન મનોજ સહીતના ત્રણ લોકોએ ચાકૂ ઘા માર્યા હતા. પત્નીને બચાવવા વચ્ચે પડેલા હર્ષિદાબહેનના પતિને પણ ચાકૂનો ઘા વાગતા હાથમાં ઇજા પહોંચી હતી.
બનાવને પગલે શાહીબાગ પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધવા તજવીજ શરૂ કરી છે. શાહીબાગ પીઆઈ એ.કે.પટેલએ જણાવ્યું હતું કે,પાડોશીઓ વચ્ચેની તકરારમાં મહિલાની હત્યા કરી હોમગાર્ડ જવાન મનોજ સહિત ત્રણ જણા ફરાર થઈ ગયા છે.